૮૧.૫ કરોડ ભારતીયોના કોવિડ ટેસ્ટના ડેટાની ચોરીનો ખતરો, ડેટા ચોરીની સૌથી મોટી વાત
ઇન્ડિયન કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે આઇસીએમઆરને વાકેફ કરી
એકસ હેંડલ પરથી એક થ્રેટ એકટરને ડાર્ક વેબ પર ડેટાબેસની જાહેરાત
નવી દિલ્હી,૩૦ ઓકટોબર,૨૦૨૩,સોમવાર
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઇસીએમઆર) પાસે કોવિડ-૧૯ ટેસ્ટ માટે ૮૧.૫ કરોડ ભારતીયોનો ડેટા ઉપલબધ્ધ છે. એક ચોંકાવનારી માહિતી અનુસાર ૮૧.૫ કરોડ ભારતીયોનું વિવરણ લીક થવાનો ખતરો રહેલો છે. આ બાબતની ગંભીરતા સમજીને આઇસીએમઆર દ્વારા ફરિયાદ કરાયા બાદ ભારતની મુખ્ય તપાસ સંસ્થા (સીબીઆઇ) તપાસ કરી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એકસ (પૂર્વ ટ્વિટર) હેંડલ પરથી એક થ્રેટ એકટરને ડાર્ક વેબ પર બ્રીચ્ડ ફોરમમાં ડેટાબેસ જાહેરાત આપવામાં આવી છે. જેમાં ૮૧.૫ ભારતીય નાગરિકોનો રેકોર્ડ સામેલ છે. આમાં ભારતીયોના નામ, ફોન નંબર અને સરનામુ અને પાસપોર્ટની પણ જાણકારી છે. થ્રેટ એકટરે એવો દાવો કર્યો છે કે નાગરિકોના કોવિડ પરિક્ષણ અંગેનો ડેટા આઇસીએમઆર પાસેથી મેળવેલો છે. એક ટીવી ચેનલમાં પ્રસારિત માહિતી અનુસાર આઇસીએમઆર ફેબુ્આરીથી અનેક સાઇબર હુમલાના પ્રયાસોનો સામનો કરી રહયું છે.
કેન્દ્રીય એજન્સીઓની સાથે આઇસીએમઆરને પણ આની જાણકારી હતી.ગત વર્ષ આઇસીએમઆરના સર્વરને હેક કરવા માટે ૬૦૦૦થી વધુ પ્રયાસો થયા હતા. આઇસીએમઆરને ડેટા લીક થતા અટકાવવા માટે યોગ્ય પગલા ભરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. ઇન્ડિયન કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે પણ આઇસીએમઆરને વાકેફ કરી છે. ડાર્કવેબ પર ઉપલબ્ધ ડેટાની સત્યતાની ખાતરી થયા પછી માલૂમ પડયું છે કે તે વાસ્તવિક ડેટા સાથે મેચ થાય છે.
આ સમગ્ર મામલાની ગંભીરતા અને સંવેદનશીલતા જોતા વિવિધ એજન્સીઓ અને મંત્રાલયોમાં ટોચના અધિકારીઓને જોડવામાં આવ્યા છે. આ લીંકમાં વિદેશી સાઇબર અપરાધીઓ જોડાયેલા હોવાનું મનાય છે. આથી આની તપાસ ટોચની એજન્સીઓ દ્વારા થાય તે આવશ્યક છે. આ ડેટા કેવી રીતે લીક થયો છે તે અંગે કોઇ જ પુષ્ઠી કરવામાં આવી નથી. કોવિજ-૧૯ પરીક્ષણ ડેટાના કેટલાક ભાગ રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાાન પરિષદ (એનઆઇસી) આઇસીએમઆર અને સ્વાસ્થ્ય મંત્રાલયમાં મોકલવામાં આવે છે.