VIDEO: દુબઈમાં 18 વર્ષની જેલની સજા કાપ્યા બાદ ભારત પરત ફર્યા ચાર શ્રમિકો...
નવી મુંબઇ,તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવાર
દુબઈની જેલમાં 18 વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ તેલંગણાના પાંચમાંથી ચાર કામદારો તેમના ઘરે પરત ફર્યા છે. આટલા વર્ષો સુધી પરિવારથી દુર રહેલાં આ ચાર કેદીઓ એરપોર્ટ પર પહોંચતા તે અને તેમનો પરિવાર ભાવુક થઇ ગયો હતો.
રાજ્યના રાજન્ના સરસિલ્લા જિલ્લાના કામદારો રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા.જ્યાં તેમનો પરિવાર તેમની રાહ જોઇ રહ્યો હતો. શિવરાત્રી મલ્લેશ અને તેનો ભાઈ શિવરાત્રી રવિ તેમના પ્રિયજનોને જોઈને ભાવુક થઈ ગયા અને તેમને ભેટી પડ્યા હતા. કેદીઓના પરિવારના સભ્યોએ તેમનુ સ્વાગત કર્યું હતુ.
ડુડુગુલા લક્ષ્મણ બે મહિના પહેલા પરત ફર્યા હતા જ્યારે શિવરાત્રી હનમંથુ બે દિવસ પહેલા પરત ફર્યા હતા. પાંચમો વ્યક્તિ વેંકટેશ આવતા મહિને જેલમાંથી છૂટે તેવી આશા છે.
દુબઈ કોર્ટે 25 વર્ષની જેલની સજા ફટકારી
દુબઈની એક કોર્ટે નેપાળના રહેવાસી ચોકીદાર બહાદુર સિંહની હત્યા કરવા બદલ પાંચ કર્મચારીઓને 25 વર્ષની જેલની સજા ફટકારી હતી. UAE સરકારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમની દુબઈ મુલાકાત દરમિયાન તત્કાલીન રાજ્ય મંત્રી કે.ટી. રામારાવ (KTR)ની અપીલ બાદ તેમની દયા અરજી મંજૂર કરવામાં આવી હતી. તમામ પાંચ કર્મચારીઓ માટે ટિકિટની વ્યવસ્થા KTR દ્વારા કરવામાં આવી હતી.
દુબઈની આવેર જેલમાં બંધ હતો
કહેવામાં આવી રહ્યું છે કે, આ તમામ લોકો દુબઈની અવાર જેલમાં બંધ હતા. સરસિલાના ધારાસભ્ય કેટીઆર 2011માં વ્યક્તિગત રીતે નેપાળ જઇને મૃતકના પરિવારના સભ્યોને મળ્યા હતા અને શરિયા કાયદા મુજબ વળતર તરીકે 15 લાખ રૂપિયા અથવા 'દિયા' (બ્લડ મની) સોંપ્યા હતા.