જમ્મુ-કાશ્મીરમાં ટેરર લિંક મામલે 3 સરકારી કર્મચારી સસ્પેન્ડ, ઉપરાજ્યપાલે કરી મોટી કાર્યવાહી
Image: Facebook
Jammu and Kashmir: જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ટેરર લિંકના કારણે જમ્મુ કાશ્મીરના 3 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધાં છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં જમ્મુ કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ ફિરદોસ ભટ્ટ પણ સામેલ છે, જે પોલીસમાં રહીને લશ્કર માટે કામ કરતો હતો.
સુરક્ષા સમીક્ષા બેઠક બાદ એક્શન
જાણકારી અનુસાર ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ એક પોલીસ કોન્સ્ટેબલ, એક શિક્ષક અને વન વિભાગના એક કર્મચારી સહિત 3 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા. ત્રણેય કર્મચારી અલગ-અલગ આતંકવાદ સાથે જોડાયેલા મામલામાં જેલમાં કેદ છે. આ મોટી કાર્યવાહી ઉપરાજ્યપાલની અધ્યક્ષતામાં સુરક્ષા સમીક્ષા બેઠકના એક દિવસ બાદ કરવામાં આવી.
બેઠકમાં ઉપરાજ્યપાલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને આતંકવાદીઓ અને પડદાની પાછળ છુપાયેલા આતંકી તંત્રને બેઅસર કરવા માટે આતંકવાદ વિરોધી અભિયાન તેજ કરવાનો આદેશ આપ્યો હતો. ઉપરાજ્યપાલે એ પણ કહ્યું હતું કે 'આતંકવાદનું સમર્થન અને ફંડિગ કરનારને ખૂબ ભારે કિંમત ચૂકવવી પડશે.'
દરેક ગુનેગારને કિંમત ચૂકવવી પડશે
ગત 13 ફેબ્રુઆરીએ મનોજ સિન્હાએ કહ્યું હતું કે 'આતંકવાદના દરેક ગુનેગાર અને સમર્થકને આની કિંમત ચૂકવવી પડશે. આપણે વિશ્વસનીય ગુપ્ત જાણકારીથી સજ્જ થવા અને આતંકવાદીઓને બેઅસર કરવા તથા નાગરિકોની સુરક્ષા નક્કી કરવા માટે વધુ પ્રભાવીરીતે કાર્ય કરવાની જરૂર છે.'
આ પણ વાંચો: 'શું ભારતમાં લોકશાહી ખતરામાં છે...?' પશ્ચિમી દેશોને વિદેશમંત્રી જયશંકરે આપ્યો આવો જવાબ
ફિરદોસ અહમદ ભટ પોલીસમાં રહીને આતંકીઓની મદદ કરી રહ્યો હતો
ફિરદોસ અહમદ ભટ 2005માં એસપીઓ તરીકે નિમણૂક થયો અને 2011માં કોન્સ્ટેબલ બની ગયો. તેની મે 2024માં ધરપકડ કરવામાં આવી. તે કોટ ભલવાલ જેલમાં બંધ છે. ખાસ વાત એ છે કે કોન્સ્ટેબલ તરીકે પુષ્ટિ કર્યા બાદ ફિરદોસ ભટને જમ્મુ કાશ્મીર પોલીસમાં ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ યુનિટના સંવેદનશીલ પદ પર તહેનાત કરવામાં આવ્યો હતો. જોકે, તેણે આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરવાનું શરૂ કરી દીધું. મે 2024માં ફિરદોસ ભટનો પર્દાફાશ થયો જ્યારે બે આતંકવાદીઓ વસીમ શાહ અને અદનાન બેગની અનંતનાગમાં પિસ્તોલ અને હેન્ડ ગ્રેનેડ સાથે ધરપકડ કરવામાં આવી.
તપાસમાં ખબર પડી કે ફિરદોસ ભટે લશ્કરના બે અન્ય સ્થાનિક આતંકવાદીઓ ઓમાસ અને અકીબને વસીમ અને અદનાનને બિન-સ્થાનિક નાગરિકો અને અનંતનાગ આવનાર પર્યટકો પર આતંકી હુમલો કરવા માટે હથિયાર અને ગોળા-બારૂદ પૂરા પાડવાનું કામ સોંપ્યું હતું. પૂછપરછ દરમિયાન ફિરદોસ ભટે હકીકત જણાવી. ફિરદોસ ભટ સાજિદ જટ્ટનો નજીકનો સહયોગી હતો જેણે તેને પાકિસ્તાનથી એક મોટા આતંકવાદી નેટવર્કને સંચાલિત કરવામાં મદદ કરી.
વન વિભાગનો કર્મચારી આતંકવાદીઓની મદદ કરી રહ્યો હતો
નિસાર અહમદ ખાન 1996માં વન વિભાગમાં સહાયક તરીકે સામેલ થયો હતો. હાલ તેની નિમણૂક વેરીનાગ, અનંતનાગના વન રેન્જ કાર્યાલયમાં અર્દલી તરીકે થઈ હતી. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર નિસાર ખાન સરકારની અંદર છુપાયેલો એક ગદ્દાર છે. તે ગુપ્તરીતે હિઝબુલ મુઝાહિદીનમાં સામેલ થઈ ગયો અને અલગાવવાદી શક્તિઓની સાથે મદદ કરવાનું શરૂ કરી દીધું. આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદીન માટે જાસૂસી કરતો હતો. હિઝબુલ મુઝાહિદીનની સાથે તેના સંબંધ પહેલી વખત વર્ષ 2000માં સામે આવ્યા જ્યારે અનંતનાગ જિલ્લાના ચમારનમાં એક લેન્ડમાઇન વિસ્ફોટ થયો. આ હુમલાને હિઝબુલ મુઝાહિદીને અંજામ આપ્યો હતો. જેમાં જમ્મુ-કાશ્મીરના તત્કાલીન વિજળી મંત્રી ગુલામ હસન ભટ માર્યા ગયા હતાં.