ઉ. પ્રદેશના હાથરસમાં બસ-વાન વચ્ચે ટક્કર, 15ના મોત
- આગ્રા-અલીગઢ નેશનલ હાઈવે પર અકસ્માત
આગ્રા : નેશનલ હાઈવે-૯૩ પર એક બસે વાનને પાછળથી ટક્કર મારતા ચાર મહિલાઓ અને ચાર બાળકો સહિત ૧૫ લોકોના મોત થયા હતા. જ્યારે, અન્ય ૧૫ ઘાયલ થયા હતા. આ માહિતી અધિકારીઓએ શુક્રવારે આપી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આગ્રા-અલીગઢ નેશનલ હાઈવે પર ઓવરટેક કરવાની કોશિશમાં બસે વાનને ટક્કર મારી હતી. આ અકસ્માત કંવરપુર ગામ પાસે થયો હતો.બસ અને વાનના પ્રવાસીઓ હાથરસથી આગ્રા જઈ રહ્યાં હતાં.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લા અધિકારીઓને ઘટના સ્થળે પહોંચીને રાહત કાર્યમાં જોડાવાના આદેશ આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ મોદીએ ઘટના પર દુ:ખ વ્યકત કર્યું હતું. આ સાથે જ મૃતકોના પરિજનોને રૂ. ૨ લાખ અને ઘાયલોને રૂ. ૫૦,૦૦૦ની મદદની જાહેરાત કરી હતી.