આ વર્ષે 124 વખત ધરા ધ્રુજી, કેન્દ્રિય મંત્રીએ સંસદમાં 'અલમોરા ફોલ્ટ'નો ઉલ્લેખ કર્યો, જાણો શું છે કારણ

વર્ષ 2023 5.8ની તીવ્રતાના ભૂકંપ સાથે શરુ થયું હતું

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News
આ વર્ષે 124 વખત ધરા ધ્રુજી, કેન્દ્રિય મંત્રીએ સંસદમાં 'અલમોરા ફોલ્ટ'નો ઉલ્લેખ કર્યો, જાણો શું છે કારણ 1 - image


earthquake in 2023 : ભૂકંપની દ્રષ્ટિએ આ વર્ષ ઘણું ખતરનાક સાબિત થયું છે. આ વર્ષની શરુઆતમાં જ 5.8ની તીવ્રતાનો ભૂકંપનો અનુભવાયો હતો અને વર્ષમાં કુલ 124 વાર ધરા ધ્રુજી છે. કેન્દ્રિય મંત્રીએ સંસદમાં અલ્મોરા ફોલ્ટને જવાબદાર ગણાવ્યો હતો

આ વર્ષની શરુઆત જ 5.8ની તીવ્રતાના ભૂકંપ સાથે થઈ હતી

વર્ષ 2023 24મી જાન્યુઆરીએ 5.8ની તીવ્રતાના ભૂકંપ સાથે શરુ થયું હતું અને ત્યારબાદ ત્રીજી ઓક્ટોબરે 6.2ની અને એક મહિના બાદ ત્રીજી નવેમ્બરે 6.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો જેણે નેપાળમાં ભારે તબાહી મચાવી હતી. નેપાળ ત્રણેય ભૂકંપનું કેન્દ્ર હતું અને તેની અસર ભારતના પર્વતીય વિસ્તારોથી લઈને દિલ્હી-NCR સુધી થઈ હતી. લોકસભામાં બુધવારે 4 વર્ષનો ડેટા રજૂ કરતા સમયે કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું હતું કે વર્ષ 2020થી 2023 સુધીના ચાર વર્ષમાં આ વર્ષમાં સૌથી વધુ ભૂકંપ અનુભવાયા છે. વર્ષ 2021માં સૌથી ઓછા 60 વખત ભૂકંપ અનુભવાયા હતા જ્યારે વર્ષ 2020માં 61 અને 2022માં 65 વખત ધરા ધ્રુજી હતી.

2023માં 124 વખત ધરા ધ્રૂજી

આ વર્ષે આવેલા 124 ભૂકંપમાંથી, 97 ભૂકંપ 3થી 3.9 ની તીવ્રતાના હતા, જ્યારે 21 ભૂકંપ એવા હતા કે જેની તીવ્રતા 4થી 4.9 ની માપવામાં આવી હતી. આ ઉપરાંત 5થી 5.9 ની તીવ્રતાના 4 ભૂકંપ અને 2 મોટા ભૂકંપ આવ્યા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6થી 6.9 હતી.

કેટલી તીવ્રતાવાળો ભૂકંપ ખતરનાક?

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે અને શૂન્યથી 1.9ની તીવ્રતાના આંચકા અનુભવાતા નથી, પરંતુ 2થી 2.9ની તીવ્રતાના હળવા આંચકા અનુભવી શકાય છે. 3થી 4.9ની તીવ્રતાના સારી રીતે ઓળખી શકાય છે, પરંતુ જો તેની તીવ્રતા 5થી વધુ હોય તો પંખા હલવા લાગે છે અને બેડ પર કે ખુરશી પર બેસીને પણ ધ્રુજારી અનુભવાય છે. આ ઉપરાંત જો 6થી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે છે, તો ઇમારતોને નુકસાન થાય છે અને 7 અને 8ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો ધરાશાયી થઈ શકે છે અને વિનાશનું કારણ બની શકે છે. તુર્કીયેમાં 6 ફેબ્રુઆરીએ એક પછી એક 7.5 અને 7.8ની તીવ્રતાના અનેક ભૂકંપ અનુભવાયા હતા જેમાં ભારે તબાહી સર્જાઈ હતી અને હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

2023માં શા માટે સૌથી વધુ ભૂકંપ આવ્યા

કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં એમ પણ જણાવ્યું હતું કે આ વર્ષે ભૂકંપના સૌથી વધુ આંચકા કેમ અનુભવાયા હતા. આ માટે તેણે ભારત અને નેપાળમાં આવેલા ભૂકંપ માટે અલ્મોરા ફોલ્ટને જવાબદાર ગણાવ્યો હતો. રિજિજુએ કહ્યું હતું કે પશ્ચિમ નેપાળમાં અલ્મોરા ફોલ્ટ સક્રિય થવાને કારણે ઉત્તર ભારત અને નેપાળના ભાગોમાં ભૂકંપ આવ્યા છે. તેમણે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ વર્ષે 24 જાન્યુઆરી (5.8 મેગ્નિટ્યુડ), 3 ઓક્ટોબર (6.2 મેગ્નિટ્યુડ) અને 3 નવેમ્બર (6.4 મેગ્નિટ્યૂડ)ના રોજ મોટા ભૂકંપ આવ્યા હતા. તેમણે કહ્યું કે આ ભૂકંપો અને તેના આફ્ટરશોક્સને કારણે 2023માં ભૂકંપની સતત વધારો થયો છે.

અલ્મોરા ફોલ્ટ શું છે?

અલ્મોરા ફોલ્ટ એ એક ઉચ્ચ-કોણ ગતિશીલ ટેકટોનિક પ્લેટ છે જે ઉત્તરમાં આંતરિક ઓછા હિમાલયના ગઢવાલ જૂથને દક્ષિણમાં બાહ્ય ઓછા લેસર હિમાલયના જૌનસાર અને દુદાટોલી જૂથોથી અલગ કરે છે.નેપાળ અને ભારતનો પડોશી ઉત્તરીય ભાગ, હિમાલય પ્રદેશના સક્રિય તિરાડોની નજીક સ્થિત છે,  ટેક્ટોનિક પ્લેટોના અથડામણને કારણે ધરતીકંપ આવતા રહે છે. અહીં ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટની નીચે દટાઈ જાય છે.

આ વર્ષે 124 વખત ધરા ધ્રુજી, કેન્દ્રિય મંત્રીએ સંસદમાં 'અલમોરા ફોલ્ટ'નો ઉલ્લેખ કર્યો, જાણો શું છે કારણ 2 - image


Google NewsGoogle News