સૈફ કેસમાં મુંબઈ પોલીસના છબરડાથી યુવકે નોકરી ગુમાવીઃલગ્નની વાત તૂટી ગઈ
દુર્ગમાં ટ્રેનમાંથી પકડાયેલા અશોક કનોજિયાનો ન્યાય માટે પોકાર
મુંબઇ પોલીસની એક ભૂલથી મારી જિંદગી બરબાદઃ પરિવારની ભારે નાલેશીઃમને કસ્ટડીમાં માર્યોઃ શરીફૂલ ન પકડાયો હોત તો શું થાત
મુંબઈ - અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં અગાઉ શંકાના આધારે અટકાયતમાં લેવાયેલા છતીસગઢના યુવકે આરોપ કર્યો હતો કે પોલીસની કાર્યવાહી બાદ તેની જીંદગી બરબાદ થઇ ગઇ છે. પોલીસ દ્વારા અટકાયતના કારણે તેના લગ્ન તૂટી ગયા, નોકરી પણ ગઇ અને તેની અને પરિવારની બદનામી થઇ છે. યુવકે ન્યાયની માંગણી કરી છે.
બાંદરામાં સતગુરું શરણ બિલ્ડિંગમાં ૧૨મા માળે રહેતા સૈફુ અલી ખાન (ઉ.વ.૫૪)ના ફલેટમાં ૧૬ જાન્યુઆરીના શરીફુલ ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. દરમિયાન સૈફ સાથે ઝપાઝપી વખતે આરોપીએ ચાકૂના ઘા ઝીંકી દેતા તે ગંભીરપણે જખમી થયો હતો ઇજાગ્રસ્ત સૈફને હોસ્પિટલમાં સર્જરી બાદ રજા આપવામાં આવી હતી.
આ ઘટનામાં મુંબઇ પોલીસની સૂચના બાદ ૩૧ વર્ષીય ડ્રાઇવર આકાશ કનોજિયાને ે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ૧૮ જાન્યુઆરીના છતીસગઢના દુર્ગ સ્ટેશન પરનું લોકમાન્ય તિલક ટર્મિનસ કોલકાતા શાલીમાર જ્ઞાાનેશ્વરી એક્સપ્રેસમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
ત્યાર બાદ મુંબઇ પોલીસે ૧૯ જાન્યુઆરી બાંગ્લાદેશી નાગરિક શરીફૂલ ઇસ્લામ શહેઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીર ઉર્ફે વિજય દાસની થાણેથી ધરપકડ કરી હતી. પછી આકાશને છોડી દેવામાં આવ્યો હતો.
આ ઘટનાએ આકાશ કનોજીયાનું જીવન બદલી નાખ્યું હતું. ૩૧ વર્ષીય આકાશ કનોજિયાએ જણાવ્યું હતું કે પોલીસની એક ભૂલથી મારું જીવન બરબાદ થઇ ગયું છે પોલીસે સીસીટીવીમાં એ પણ ન જોયું કે સૈફ પર હુમલો કરનાર આરોપીની મૂછ નથી. મારી મૂછ છે સીસીટીવી ફૂટેજમાં દેખાયે છે તે હું નથી. મીડિયાએ સૈફના હુમલાના શંકાસ્પદ તરીકે મારો ફોટો પાડયો હતો. આ ફોટો સર્વત્ર વાયરલ થઈ ગયો હતો. અને તે જોઇને મારા પરિવારને આઘાત લાગ્યો હતો. મારા માતા-પિતા રડવા લાગ્યા હતા.
સૈફ પર હુમલા પછી મને મુંબઇ પોલીસનો ફોન આવ્યો હતો. તેમણે મને પૂછ્યું કે તે ક્યાં છે ? મેં કહ્યું હું મારા ઘરે છું પછી કોલ ડિસ્કનેક્ટ થઇ ગયો હતો. મને દુર્ગ ખાતેથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
હું મારાં લગ્નની વાત ચાલતી હતી તે યુવતીને મળવા જઇ રહ્યો હતો. મને પકડીને રાયપુર લઇ જવામાં આવ્યો હતો. રાયપુરથી મુંબઇ લાવ્યા હતા. મુંબઇ પોલીસની ટીમે મને માર માર્યો હતો.
પીડિત આકાશે વધુમાં કહ્યું કે પોલીસના તાબામાંથી છૂટયા બાદ તેને માતાએ ઘરે આવવા કહ્યું હતું. પરંતુ આ બનાવથી મારા જીવનમાં ઘણી મુશ્કેલી સર્જાઇ છે. મે મારા માલિકને ફોન કર્યો તો તેમણે મને નોકરી પર આવવાની ના પાડી દીધી હતી. તેમણે મારો ખુલાસો સાંભળવાની પણ ના પાડી દીધી હતી મારા દાદીએ મને કહ્યું કે મારા લગ્ન પણ તૂટી ગયા છે. મારી ભાવિ પત્નીના પરિવારજનોએ ઘરે આવીને લગ્નની વાત આગળ વધારવાની ના પાડી દીધી છે.
આકાશે દાવો કર્યો હતો કે અગાઉ તેના ભાઇનું લાંબી તબીબી સારવાર બાદ મોત થયું હતું જેના કારણે તેના પરિવારને વિરારનું ઘર વેચવાની અને કફપરેડની એક ચાલમાં રહેવાની ફરજ પડી હતી.
મારા નામ પર એક કેસ કફ પરેડમાં અને એક કેસ ગુરગાવમાં નોંધાયેલ છે. તેનો અર્થ એ નથી કે મને આ રીતે પકડવામાં આવે અને પછી છોડી દેવામાં આવે. હું સૈફ અલી ખાનની બિલ્ડિંગની બહાર ઉભા રહેવાનું વિચારી રહ્યો છું અને ત્યાં ઊભો રહી ન્યાયની માગણી કરીશ.મારી સાથે જે બન્યું તે બધું સૈફ સાથે થયેલી ઘટનાને કારણે જ બન્યું છે.
મને અટકાયતમાં લેવાના કલાકોમાં જ શરીફુલને પકડવામાં આવ્યો હતો. અન્યથા કોને ખબર મને કેટલાય દિવસો સુધી આરોપી તરીકે કસ્ટડીમાં ગોંધી રાખવામાં આવ્યો હોત. હવે મારે ન્યાય જોઈએ છીએ એમ તેણે ગુસ્સા સાથે કહ્યું હતું.