ધર્મસ્થળો પર ગેરકાયદે લાઉડસ્પીકર સામે શું પગલાં ભર્યાં : હાઈકોર્ટ વિગતો માગી
2016માં કોર્ટે આપેલા આદેશનો અનાદર થયાની અરજી
રાજ્યભરમાં લેવાયેલાં પગલાં અંગે જિલ્લાવાર આંકડાની વિગતો રજૂ કરવા રાજ્યના ગૃહ ખાતા, ડીજીપીને આદેશ
મુંબઈ : રાજ્યભરમાં ધાર્મિક અને અન્ય સંસ્થાઓમાં ગેરકાયદે લગાવેલા લાઉડસ્પીકરો સામે દંડાત્મક પગલાં સંબંધી વિગતો રજૂ કરવા બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યા. ઉપાધ્યાય અને ન્યા. બોરકરની બેન્ચે રાજ્યના ગૃહ ખાતા અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી)ને નિર્દેશ આપ્યા છે.
માહિતી અધિકાર કાયદા હેઠળ સરકારે આપેલા જવાબ અનુસાર ૨,૯૪૦ ગેરકાયદે સ્પીકરો સંબંધી લેવાયેલા પગલાં અંગે સોગંદનામું દાખલ કરવા ગૃહ ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરી અને ડીજીપીને હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે.
લેવાયેલા પગલાં અંગે જિલ્લા વાર આંકડાવારી સાથે ચાર્ટ તૈયાર કરીને માહિતી આપવાની રહેશે, એમ હાઈકોર્ટની બેન્ચે જણાવ્યું હતું.
ધાર્મિક સ્થળો પર લાગેલા ગેરકાયદે લાઉડસ્પીકરો સંબંધે ૨૦૧૬માં અપાયેલા નિર્દેશોનું કથિત પાલન નહીં થવા પર કરાયેલી અવમાન અરજીની સુનાવણી ચાલી રહી હતી.
સંતોષ પાચલાગે ૨૦૧૪માં અરજી કરી હતી જેમાં તેમણે નવી મુંબઈની અમુક મસ્જિદોમાં લાગેલા ગેરકાયદે લાઉડસ્પીકરો દૂર કરવાના નિર્દેશોની દાદ માગી હતી. તેમણે ૨૦૧૬ના ચુકાદાનું પાલન નહીં કરવા પર અવમાનની અરજી કરી હતી.
હાઈ કોર્ટે તેમને હાલના ડીજીપી અને ગૃહ ખાતાના એડિશનલ ચીફ સેક્રેટરીને પ્રતિવાદી બનાવવાની પરવાનગી આપી છે અને તેમને નોટિસ જારી કરીને છ સપ્તાહમાં જવાબ નોંધાવવા જણાવ્યું છે.
અરજદારે જણાવ્યા અનુસાર ઓગસ્ટ ૨૦૧૬માં ચુકાદો અપાયો હતો. ઓથોરિટીએ પગલાં નહીં લેવાથી વ્યાપર ખલેલ પહોંચે છે ખાસ કરીને વયસ્ક અને બીમાર વ્યક્તિ, વિદ્યાર્થીઓ, નવજાત બાળકો તેમ જ પશુ પક્ષીઓને અસર થાય છે.
કોર્ટે ઓથોરિટીને નિર્દેશ આપીને સોગંદનામું દાખલક રવા જણાવ્યું છે. ત્યારબાદ અરજદારે પ્રત્યુત્તર આપવાનો રહેશે. કોર્ટે આઠ સપ્તાહ બાદ સુનાવણી રાખી છે.