જળાશયો 50 ટકાથી વધુ ક્ષમતાએ ભરાતાં પાણી કાપ ખેંચાવાની આશા

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
જળાશયો 50 ટકાથી વધુ ક્ષમતાએ ભરાતાં પાણી કાપ ખેંચાવાની આશા 1 - image


7 જળાશયોમાં 53.12 ટકા પાણીનો જથ્થો જમા

તુલસી છલકાયું હવે વિહાર અને તાનસા  છલકાવવાની આરે, જળાશયોમાં 192 દિવસનો પાણીનો જથ્થો

મુંબઈ :  મેઘરાજા મુંબઈને પાણી પુરવઠો પૂરો પાડતા જળાશયો અને કેચમેન્ટ પર મન મૂકી વરસતા આજે સાતેય જળાશયો મળીને ક્ષમતાના ૫૩.૧૨  ટકા એટલે કે ૭૬૮૮૪૭ મિલિયન લીટર સાથે ૧૯૨ દિવસનું પાણી જમા થયું છે. તાનસા અને વિહાર છલકાવવાની સપાટીથી અડધો મીટર કરતાં છેટું છે. આથી આ બન્ને જળાશય ગમે ત્યારે છલકાશે. બીજી તરફ જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણીનો જથ્થો જમા થયો હોવાથી મુંબઈગરા પર લદાયેલો પાણી કાપ આજકાલમાં પાછો ખેંચાશે તેવી આશા જાગી છે. 

૩૦ મે ૨૦૨૪ના રોજ જળાશયોમાં કુલ મળીને પાંચ ટકા પાણીનો જથ્થો હોવાથી મુંબઈ મહાનગર પાલિકાએ મુંબઈગરાના માથે ૧૦ ટકા પાણી કાપ મૂક્યો હતો.   જો કે ગત ૧૫ દિવસમાં જળાશયો અને કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસતા જળાશયોમાં નવા પાણીની આવક ૫૩.૧૨ ટકા થઈ ગઈ છે. આથી આગામી બે દિવસમાં પાલિકાના કમિશનર સાથે જળ વિભાગના હાઈડ્રોલિક એન્જિનિયરની બેઠક યોજાશે. તેમાં પાણી કાપ રદ્દ કરવાની દરખાસ્ત મૂકાશે. જેથી તેના પર લીલી ઝંડી મળતા પાણીકાપ રદ્દ થવાની શક્યતા છે એમ અધિકારીએ જણાવ્યું  હતું.

તુલસી જળાશય છલકાવવા લાગ્યું છે. તાનસા જળાશયની છલકાવવાની સપાટી ૧૨૮.૬૩ મીટર છે. તેની સામે આજે આ જળાશયની સપાટી ૧૨૭.૯૯ મીટર છે. એટલે કે આ  જળાશયમાં ૧૩૨૮૧૫ મિલિયન લિટર પામીનો સંગ્રહ થયો છે. જ્યારે  વિહાર જળાશયની છલકાવવાની સપાટી ૮૦.૧૨ મીટર છે. તેની સામે આજે સપાટી ૭૯.૫૦ મીટર છે. એટલે કે ૨૪૪૮૫ મિલિયન લીટર પાણી જમા થયું છે. આમ બન્ને જળાશયો છલકાવવાનું સપાટીથી અડધો મીટર કરતાં ઓછું છેટું છે. આ બન્ને જળાશય ગમે તે ઘડી છલકાવવાની આરે છે.



Google NewsGoogle News