શિર્ડીમાં રામનવમીની આવતીકાલથી ત્રિદિવસીય ઉજવણીઃ લાખો ઉમટશે
છેલ્લાં ૧૧૪ વર્ષની પરંપરા
શનિવારથી સોમવાર દરમિયાન ત્રણ દિવસ સેંકડો પાલખીયાત્રા ઃ મંદિર પરિસરમાં ધસારાને પહોંચી વળવા વ્યવસ્થા
મુંબઈ - સાંઈનગર શિર્ડીમાં રામનવમીના તહેવાર નિમિત્તે ત્રણ દિવસની ઉજવણીના કાર્યક્રમની આવતી કાલે શનિવારથી શરૃઆત થશે. રામનવમી મહોત્સવમાં દેશ-વિદેશથી ઉમટનારા લાખો ભાવિકોના પ્રવાહને પહોંચી વળવા શિર્ડી સાઈ સંસ્થાન તરફથી મંદિર પરિસરમાં વિશેષ તૈયારી કરવામાં આવી છે અને ખાસ તો સલામતી બદોબસ્ત વધારવામાં આવ્યો છે.
શિર્ડીના સાઈબાબાએ તેમની હયાતીમાં ૧૯૧૧ની આસપાસ રામનવમીના તહેવારની ઉજવણીની શરૃઆત કરી હતી. ત્યારથી આ ઉજવણીની ૧૧૪ વર્ષની પરંપરા ચાલી આવે છે. રામનવમી રવિવારે છે એટલે શનિવારથી સોમવાર સુધી રામનવમી પર્વની ત્રણ દિવસની ધામધૂમથી ઉજવણી માટેની પૂર્વ તૈયારી થઈ ગઈ છે. લગભગ ચારથી પાંચ લાખ ભાવિકો ઉજવણીમાં ભાગ લેશે એવો અંદાજ છે. ઉપરાંત મુંબઈ સહિત અનેક ગામો અને શહેરોમાંથી પાલખો લઈને સેંકડો પાલખીયાત્રીઓ શિર્ડી પહોંચશે. રામનવમીના દિવસે શિર્ડી સાઈબાબાનું મંદિર આખી રાત ખુલ્લું રહેશે.