૨૬/૧૧ના મુંબઇ હુમલામાં સંડોવણી હોવાનો તહવ્વુર નો ઈનકાર
અમેરિકાથી પ્રત્યાર્પિત કરીને લવાયેલા આતંકવાદીનું રટણ
મુંબઇ પોલીસ ટીમ દ્વારા આઠ કલાકથી વધુ સમય સુધી પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપ્યા, યાદશક્તિ નબળી હોવાનો દાવો
મુંબઇ - ૨૬/૧૧ના મુંબઇ આતંકવાદી હુમલામાં સંડોવણીના આરોપી પાકિસ્તાની- કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાએ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ દરમિયાન કાવતરામાં કોઇપણ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો છે. ૨૬/૧૧
વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ રાણા હાલમાં દિલ્હીમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની કસ્ટડીમાં છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ ચાર પોલીસ-અધિકારીઓની ટીમ દ્વારા આઠ કલાકથી વધુ સમય સુધી રાણાની પૂછપરછ કરવામાં આવી હતી. તેણે પૂછપરછમાં સહકાર આપ્યો નહોતો. ૬૪ વર્ષીય પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન રાણાને આ મહિનાની શરૃઆતમાં ૨૬/૧૧ના મુંબઇ આતંકવાદી હુમલામાં તેની કથિત સંડોવણી બદલ અમેરિકાથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.
મુંબઇ ટેરરિસ્ટ એટેકમાં રાણાની ભૂમિકા તેના બાળપણના મિત્ર અને સહ-આરોપી ડેવિડ હેડલીની પૂછપરછ દરમિયાન પ્રકાશમાં આવી હતી. ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ મુંબઇમાં થયેલા હુમલામાં ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓ સામેલ હતા. તેઓ અરબી સમુદ્રના રસ્તે મુંબઇમાં ઘૂસ્યા હતા. આ હુમલો લગભગ ૬૦ કલાક ચાલ્યો હતો અને એમાં ૧૬૬ લોકોના મોત થયા હતા.
રાણા પર હેડલી ઉર્ફે દાઉદ ગિલાની અને આતંકવાદી સંગઠન લશ્કર-એ- તૈયબા તથા હરકત-ઉલ- જેહાદી ઇસ્લામી પાકિસ્તાન સ્થિત અન્ય સહ-કાવતરાખોર સાથે ભારતની આર્થિક રાજધાની મુંબઇમાં ત્રણ દિવસ હુમલાનો આરોપ છે. આ કેસમાં હેડલીએ લશ્કર-એ- તૈયબા વતી મુંબઇ સહિત દેશભરમાં રેકી કરવાની કબૂલાત કરી છે.
રાણાએ પૂછપરછ દરમિયાન કહ્યું કે મુંબઇ અને દિલ્હી ઉપરાંત તે કેરળ પણ ગયો હતો. તેને કેરળની મુલાકાતના હેતુ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે દાવો કર્યો હતો કે ત્યાં એક પરિચિતને મળવા ગયો હતો. તેણે એજન્સીને તે વ્યક્તિનું નામ અને સરનામું આપ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ટુંક સમયમાં કેરળ જઇ શકે છે. તેના દાવાઓની ચકાસણી અને તે વ્યક્તિની પૂછપરછ કરી શકાશે. અધિકારીઓએ ખુલાસો કર્યો કે રાણા પૂછપરછ દરમિયાન મોટાભાગે સહકાર આપતો ન હતો અને સંતોષ જનક જવાબ આપતો નહોતો. તેણે યાદશક્તિમાં ખામી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ ૧૭ વર્ષે થયેલા હુમલા સંબંધિ ચોક્કસ વિગતો યાદ નહોવાના દાવો કર્યો હતો.