પવઈમાં દબાણો હટાવવા સમયે પથ્થરમારો : 6 પોલીસ જવાન ઘાયલ

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
પવઈમાં દબાણો હટાવવા સમયે પથ્થરમારો : 6 પોલીસ જવાન ઘાયલ 1 - image


અગાઉ નોટીસ આપ્યા છતાં ગેરકાયદે ઝૂંપડપટ્ટી નહોતી હટાવાઈ

પાલિકાની ટીમ પોલીસ પ્રોટેકશન સાથે પહોંચતાં અચાનક  રહીશો દ્વારા  પથ્થરમારોઃ ટોળાં વિખેરવા લાઠીચાર્જ

મુંબઈ :  મુંબઈના પવઈમાં અતિક્રમણ હટાવવા ગયેલી પાલિકા અને પોલીસની ટીમ પર સ્થાનિકોએ જોરદાર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં પાંચથી છ પોલીસકર્મીઓ ઈજા પામ્યા હતા. આ ઘટના આજે સવારે પવઈના જય ભીમનગર વિસ્તારમાં બની હતી.

આ ઘટનાને લીધે આ સમગ્ર વિસ્તારમાં ભારેલા ્ગ્નિ  જેવી સ્થિતિ ઉભી થતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર બે મહિના પહેલાં આ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગની ઘટના બની હતી. તેથી અહીંની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મુંબઈ મહાનગરપાલિકાએ જગ્યા ખાલી કરવાની નોટીસ આપી હતી. ત્યારબાદ આજે કાર્યવાહી આજે પાલિકાની અતિક્રમણ 'એસ' વોર્ડની વિભાગની ટીમ પોલીસ સાથે ગઈ ત્યારે સ્થાનિકોએ રસ્તા અટકાવી તેમને અંદર પ્રવેશવા દીધા નહોતા.

આ ઘટનાને લીધે અફરાતફરી મચી ગઈ હતી. દરમિયાન અચાનક ઝૂંપડાવાસીઓએ પાલિકા કર્મચારીઓ પર પથ્થરમારો શરૃ કરી દીધો હતો. અચાનક જોરદાર પથ્થરમારો થતા બધા હેબતાઈ ગયા હતા. આ સમયે પોલીસ કર્મચારીઓ તરત પ્રોટેકશન શીલ્ડ સાથે આગળ આવ્યા હતા અને પાલિકા કર્મચારીઓને સંરક્ષણ આપી ત્યાંથી દૂર લઈ ગયા હતા.

પોલીસ ભીડને વિખેરવા લાઠીચાર્જ પણ કર્યો હતો. જોકે આ દરમિયાન પથ્થર વાગતા પાંચથી છ પોલીસકર્મી ઘવાયા હતા. આ ઘટના બાદ બપોરે એક વાગ્યે અતિક્રમણની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. ઈજાગ્રસ્ત પોલીસને તરત પ્રાથમિક સારવાર માટે પાસેના ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા.

આ બાબતે વધુ જાણકારી અનુસાર વર્ષ ૨૦૦૫માં પવઈના જય ભીમનગર વિસ્તારમાં કામદારો માટે કામચલાઉ ટ્રાન્ઝીટ કેમ્પ બનાવવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ અહીં મોટી ઝૂંપડપટ્ટી ઉભી થઈ હતી. આ જગ્યા સરકારની હોવાથી પાલિકાએ ઘણીવાર નોટીસો આપી હતી. ઘણીવાર અહીંના અતિક્રમણ હટાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે દર વખતે આ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. આજે પણ પાલિકાની ટીમ પોલીસ પ્રોટેકશનમાં અતિક્રમણ દૂર કરવા આવી ત્યારે સ્થાનિકોએ તેમને અંદર પ્રવેશવા દીધા નહોતા અને રસ્તો રોકી વચ્ચે જ ઉભા રહી ગયા હતા અને કાર્યવાહીમાં વિરોધ લાવી પાલિકા અને પોલીસકર્મીઓ પર જોરદાર પથ્થરમારો કર્યો હતો.



Google NewsGoogle News