ક્યારેક હાર્ટ એટેક, ક્યારેક કોવિડ, દાઉદના મોતની વારંવાર અફવાઓ

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
ક્યારેક હાર્ટ એટેક, ક્યારેક કોવિડ, દાઉદના મોતની વારંવાર અફવાઓ 1 - image


દાઉદના મોતની અફવા સમયાંતરે ફેલાતી રહે છે.  ૨૦૨૦માં એવી અફવા ફેલાઈ હતી કે દાઉદ તથા તેની પત્ની બંનેને કોવિડ થયો છે અને દાઉદનું કોવિડમાં મોત થયું છે. જોકે, આ અફવા બાદમાં ખોટી સાબિત થઈ હતી. અલબધા,  દાઉદની એક ભાણેજ સિરાજ કાસકરનું પાકિસ્તાનમાં જ કોવિડથી મોત થયાની વાત સાચી હોવાનું પણ બહાર આવ્યું હતું.  

૨૦૧૭માં દાઉદને જીવલેણ હાર્ટ એટેક આવ્યો હોવાની વાત ફેલાઈ હતી. તેને બ્રેઈન ટયૂમર પણ હોવાની વાત ફેલાઈ હતી. તે વખતે છોટા શકીલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. તેમાં છોટા શકીલે એમ કહ્યું હતું કે તેમને મારા અવાજ પરથી લાગે છે ખરું કે આવું કાંઈ બન્યું હોય. આ બધી અફવાઓ છે. 

૨૦૧૬માં એવી અફવા ફેલાઈ હતી કે દાઉદને ગેંગરીન થયું છે અને તેના બંને પગ કાપી નાખવા પડયા છે. જોકે, આ વાતમાં પણ કોઈ દમ હોવાનું ક્યારેય પુરવાર થયું નથી.

મારી ધરપકડ થઈ નથી, દાઉદ વિશે નહીં બોલું: મિયાંદાદ

દાઉદના મોતની સાથે સાથે તેના વેવાઈ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના સમગ્ર પરિવારને નજરકેદ કરી લેવાયો હોવાની અફવા પણ ચગી હતી. જોકે, ભારતીય મીડિયાએ સંપર્ક કરતાં જાવેદ મિયાંદાદે કહ્યું હતું કે મારી કે મારા પરિવારમાંથી કોઈની પણ અટકાયત થઈ નથી કે અમને નજરકે  કરાયા નથી. જોકે, દાઉદ વિશે તેણે કોઈ સ્પષ્ટતા કરવાનું ટાળતાં કહ્યું હતું કે મારે એ બાબતે કશું કહેવું નથી. જે પણ કહેવાનું હશે તો એ પાકિસ્તાન સરકાર જ કહેશે.

દાઉદને હોસ્પિટલમાંથી  રજા મળી ગયાનો દાવો

મુંબઈ પોલીસના સુત્રોને ટાંકીને એક અહેવાલમાં એવું જણાવાયું છે કે ગયા અઠવાડિયે દાઉદની તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં ભરતી કરાયો હતો તે વાત સાચી છે. જોકે, સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જોકે, મુંબઈ પોલીસે સત્તાવાર રીતે આવું કશું જણાવ્યું નથી. 

દાઉદ ના સ્વજનોએ કહ્યું, સબ સલામત

સાઉથ મુંબઈના પાકમોડિયા સ્ટ્રિટ તથા ટેમકર ગલી આસપાસ દાઉદની પ્રોપર્ટીઓ હોવાનું કહેવાય છે. તેના કેટલાક પરિવારજનો પણ અહીં રહે છે. મુંબઈ પોલીસની ટીમે દાઉદના ભાણેજ અલિશાહ પારકર તથા અન્ય લોકોને આ અફવાઓ વિશે પૂછ્યું હોવાનું કહેવાય છે. 

મીમ્સનો મારો ચાલ્યો, અનનોન મેન પર સૌ અફરીન

દાઉદના મોતની અફવાને કારણે સોશિયલ મીડિયા પર મીમ્સનો મારો ચાલ્યો હતો. કેટલાય લોકોએ ફિલ્મોની ક્લિપ, સંવાદો તથા ભૂતકાળની અન્ય વાયરલ ક્લિપને દાઉદના મોત સાથે જોડી મીમ્સ વાયરલ કર્યાં હતાં. તેમાં ભારતીય એજન્સીઓ, નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અમિત દોવાલ વગેરેને સાંકળીને મીમ્સ બનાવાયાં હતાં. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન તથા અન્યત્ર ભારતવિરોધી આતંકીઓની કોઈ અજાણ્યા માણસ દ્વારા હત્યાનો સિલસિલો ચાલ્યો છે. ઈન્ટરનેટ પર લોકોએ દાઉદના મોત માટે પણ આ અજાણયા માણસને તમામ શ્રેય આપી દીધો હતો. જોકે, તેમણે દાઉદ હેમખેમ હોવાનો દાવો કર્યો હોવાનું કહેવાય છે.



Google NewsGoogle News