મુંબઈ સહિત રાજ્યના શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજ્યા

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
મુંબઈ સહિત રાજ્યના શિવાલયો 'હર હર મહાદેવ'ના નાદથી ગૂંજ્યા 1 - image


મંદિરો બહાર ભાવિકોની ભીડ જામી

બાબુલનાથ અને અંબરનાથમાં લાઈનો લાગી, ત્ર્યંબકેશ્વર પણ ભાવિકોથી ઉભરાયું

મુંબઈ : દેશભરમાં શુક્રવારે શિવરાત્રીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. શુક્રવારે મુંબઈના બાબુલનાથ, બાલરાજેશ્વર, અંબરનાથ જેવા શિવાલયો સહિત રાજ્યભરના શિવાલયોમાં શંભુના દર્શનાર્થે ભાવિકોની ભારે ભીડ જામેલી જોવા મળી હતી. કેટલાંય મંદિરો વતી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

મુંબઈમાં બાબુલનાથ મહાદેવનું ખૂબ માહાત્મ્ય છે, ત્યારે વહેલી સવારથી બાબુલનાથ મંદિરમાં ભાવિકો દર્શનાર્થે આવી પહોંચ્યા હતાં અને તેમને માટે પ્રસાદની પણ વ્યવસ્થા જોવા મળી હતી. તો મુલુન્ડમાં આવેલ બાલરાજેશ્વર મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ, જોગેશ્વરીની ગુફાઓમાંના મહાદેવ તથા થાણેના કોપિનેશ્વર, અંબરનાથના અંબરેશ્વર મહાદેવ સહિત સમગ્ર શહેર તથા  જ્યોતિર્લિંગરુપ ત્ર્યંબકેશ્વર મહાદેવના મંદિરમાં પણ ભોળાના ભક્તો દર્શન તથા શિવપૂજા માટે પહોંચી ગયા હતાં.

શહેરભરની વિવિધ સોસાયટીઓના શિવમંદિરો તથા નાના-મોટા અન્ય મંદિરોમાં પણ શિવજીની ભસ્મારતીઓ, વિવિધ પ્રકારની સજાવટ તથા રુદ્રી, સત્યનારાયણની પૂજા આદિનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ઠેકઠેકાણે ભંડારા તથા મહાપ્રસાદ અને ભાંગ તેમજ ઠંડાઈનું પણ વિતરણ કરાયું હતું.

 


Google NewsGoogle News