આરએસએસ ચીફની સુરક્ષા ઝેડપ્લસથી પણ વધુ ચુસ્ત કરાઈ

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
આરએસએસ ચીફની સુરક્ષા ઝેડપ્લસથી  પણ વધુ ચુસ્ત કરાઈ 1 - image


મોહન ભાગવત સામે જોખમ વધ્યું હોવાનું જણાતા

કટ્ટર ઈસ્લામિક સંસ્થાઓ તરફથી મળતી ધમકીને ધ્યાનમાં રાખીને એએસએલ સુરક્ષા નક્કી કરાઈ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના ચીફ મોહન ભાગવતની સુરક્ષા મોજૂદ ઝેડ-પ્લસથી અપગ્રેડ કરીને વધુ ચુસ્ત એડવાન્સ્ડ સેક્યુરિટી લાયેસન (એએસએલ) પ્રોટોકોલ મુજબ કરવામાં આવી છે. આ અપગ્રેડથી ભાગવતનું સુરક્ષા સ્તર વડા પ્રધાન તેમજ ગૃહ મંત્રી સમકક્ષ થઈ જશે. તાજેતરમાં ગૃહ મંત્રાલય દ્વારા કરાયેલા વિશ્લેષણ મુજબ આરએસએસના ચીફ સામે જોખમ વધ્યુ હોવાનું જણાતા આ પગલું લેવાયું છે.

ભાગવતની સુરક્ષા અપગ્રેડ કરવાનો નિર્ણય બે અઠવાડિયા અગાઉ લેવાયો હતો. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કરાયેલા નવા જોખમ વિશ્લેષણના પ્રતિસાદમાં આ અપગ્રેડ કરવામાં આવ્યો છે. જમ્મુમાં વિશાળ સમર્થન ધરાવતું આરએસએસ ચૂંટણી સમયે મોટી ભૂમિકા ભજવશે તેવી સંભાવના છે.

એવું પણ જણાયું હતું કે ભાગવત સામે જ્યાં વધુ જોખમ હોય છે તેવા બિન-ભાજપ શાસિત રાજ્યોમાં તેમની મુલાકાત દરમ્યાન સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત નહોતી.

ઉપરાંત વિશ્લેષણ અહેવાલમાં કટ્ટર ઈસ્લામિક સંગઠનો સહિત વિવિધ સંસ્થાઓથી તેમને મળેલી ધમકીઓ પર ભાર મુકાયો હતો તેમજ ઈન્ટેલીજન્સ બ્યુરો સહિત વિવિધ એજન્સીઓના ઈનપુટ્સને ધ્યાનમાં લઈને ગૃહ મંત્રાલયે ભાગવતને એએસએલ સંરક્ષિત તરીકે વર્ગીકૃત કર્યા હતા. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ જાણકારી આપવામાં આવી છે.

એએસએલ પ્રોટોકોલ હેઠળ જિલ્લા પ્રશાસન, પોલીસ, આરોગ્ય અને અન્ય વિભાગોએ સંરક્ષિતની સુરક્ષા અને સલામતીની ખાતરી કરવા તેમાં સામેલ થવું ફરજિયાત છે.

ઉપરાંત હેલિકોપ્ટર પ્રવાસ માત્ર વિશેષ રૃપે ડીઝાઈન કરેલા હેલિકોપ્ટરોમાં મંજૂર કરાય છે અને તેના માટે પણ પ્રોટોકોલ નિર્ધારીત કરાયા હોય છે. એએસએલ પ્રોટોકોલમાં તોડફોડ વિરોધી ચકાસણી પણ ફરજિયાત હોય છે અને તેમાં બહુ-સ્તરીય સુરક્ષા ચક્રો હોય છે.



Google NewsGoogle News