અગાઉની સરકાર વખતે કરોડોના કૌભાંડો બહાર આવતા હવે અમે વિકાસના આંકડા જાહેર કરીએ છીએ : પીએમ
મહારાષ્ટ્રમાં 53 વર્ષની પ્રતીક્ષા બાદ નિલવંડે ડેમનું લોકાર્પણ
નરેન્દ્ર મોદીએ શિર્ડી સાઇબાબાના દર્શન કરી 1400 કરોડના પ્રોજેક્ટોની જાહેરાત કરી
મુંબઇ : મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિર્ડીમાં સભાને સંબોધિત કરતાં કહ્યું કે વર્ષ ૨૦૧૪ પહેલાં કૌભાંડના આંકડાઓ બહાર આવતા હતા. પરંતુ જ્યારથી અમારી સરકાર કેન્દ્રમાં આવી છે ત્યારથી કરોડોના વિકાસ પ્રોજેક્ટો હાથ ધર્યા છે. તેના આંકડા જાહેર થાય છે. અમારી સરકાર સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે કાર્યરત છે.
અમારી સર્વોચ્ચ પ્રાથમિક્તા ગરીબોનું કલ્યાણ કરવાનું છે. આજે જ્યારે દેશની અર્થવ્યવસ્થા મજબૂત રીતે વધી રહી છે ત્યારે સરકારી બજેટમાં પણ ગરીબોનું કલ્યાણ માટે ફંડ વધી રહ્યું છે. આજે મહારાષ્ટ્રમાં ૧.૧૦ કરોડ આયુષ્યમાન કાર્ડ ફાળવવામાં આવ્ યા છે.
વડા પ્રધાને કહ્યું કે અમે પી.એમ કિસાન સન્માન નિધિ શરૃ કરી છે, જેની મદદ દેશભરના કરોડો નાના ખેડૂતોને ૨,૬૦,૦૦૦ કરોડ રૃપિયા ફાળવ્યા છે. મહારાષ્ટ્રમાં નાના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ૨૬૦૦૦ કરોડ રૃપિયા ટ્રાન્સફર કર્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪ પહેલા તમે આંકડાઓ સાંભળવા મળતા હતા. પરંતુ તે આંકડા ક્યા હતા? લાખો રૃપિયાનો ભ્રષ્ટાચાર, આટલા કરોડોના ભ્રષ્ટાચાર, આટલા લાખ કરોડ રૃપિયાનું કૌંભાડ પણ હવે માત્ર અમારી સરકાર કરોડો રૃપિયાની યોજનાઓ લાવીને માત્ર વિકાસના કામ પર ધ્યાન આપે છે.
લોકોના ઘરે-ઘરે પાણી પહોંચાડવા માટે બે લાખ કરોડ રૃપિયાનો ખર્ચ કરી ચૂક્યા છે. પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ ફૂટપાથ પર રેકડી, ફેરિયાઓનને મદદ આપી છે. એમ કહીને વડા પ્રધાને ઉમેર્યું હતું કે અમારી સરકાર પી.એમ વિશ્વકર્મા યોજના શરૃ કરી છે. જેમાં સુથાર, સોની, કુંભાર, મૂર્તિકાર એવા લાખો પરિવારને પ્રથમ વખત સરકાર તરફથી મદદ મળી રહી છે. આ યોજના પાછળ ૧૩ હજાર કરોડ રૃપિયાનો વધારે ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાનો દાવો કર્યો હતો.
જનતાને સંબોધન કરતા પી.એમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે શિરડીમાં સાઇબાબાના દર્શન કરીને આર્શીવાદ લઇને ૧૪૦૦ કરોડ રૃપિયાના વિકાસના કાર્યોના શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું છે. નિલંબડે ડેમનું કામ પૂરું થયું છે. જેની મહારાષ્ટ્ર ૫૩ વર્ષથી પ્રતીક્ષા કરી રહ્યું હતું. હું ભાગ્યશાળી છું કે મને આજે આ ડેમનું ઉદ્ઘાટન કરવા મળ્યું અને જળપૂજન કરવાનો અવસર મળ્યો છે. દરમિયાન શિરડીમાં સાંઇબાબાના મંદિરમાં દર્શન કરવા આવનારા ભક્તોને દર્શન કરવા લાંબી કતારમાં ઉભા રહેવું પડે છે. આ માટે શિરડી સંસ્થાને અત્યાધુનિક સાધન સામગ્રી સહિત સંકુલ બાંધ્યું છે. આ દર્શન કતાર માટેનું સંકુલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય ત્યાં એક શૈક્ષણિક સંકુલનું પણ લોકાર્પણ કર્યું હતું. આ સભામાં અને લોકાર્પણ પછી રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત હતા. જનસભાને સંબોધન કરવા પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિરજી સાંઇબાબાની પૂજા અને આરતી કરી હતી.
મહારાષ્ટ્રમાં સળગતા મરાઠા આરક્ષણ વિશે નમો કઇ ન બોલ્યા
મરાઠા આરક્ષણનો મુદ્દો રાજ્યમાં સળગી રહ્યો છે. એવા સમય દેશના વડા પ્રધાન મહારાષ્ટ્રની મુલાકાત વેળા એક પણ મરાઠા સમાજના આરક્ષણ બાબતે એક હરફ પણ ઉચ્ચાર્યો નહોતો. સમાજના આરક્ષણ બાબતે અવગણના કરી હોવાનું રાજકીય વર્તુળમાં ચર્ચાઇ થઇ રહી હતી.
મરાઠા આરક્ષણ માટે મરાઠા સમાજના નેતા મનોજ જરાંગે પાટીલે ફરી બે મુદત ઉપવાસ શરૃ કર્યું છે. પણ વડા પ્રધાન સહિત મુખ્ય પ્રધાને જરાપણ નોંધ લીધી ન હતી.