'ખીચડી ચોરને આપી દીધી ટિકિટ, તેના માટે હું પ્રચાર નહીં કરું', પોતાના જ પક્ષ પર ભડક્યા સંજય નિરૂપમ

કોંગ્રેસ દેશમાં ન્યાયની વાત કરે છે પરંતુ પોતાના લોકોનું ધ્યાન નહીં રાખતી હોવાનો દાવો

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
'ખીચડી ચોરને આપી દીધી ટિકિટ, તેના માટે હું પ્રચાર નહીં કરું', પોતાના જ પક્ષ પર ભડક્યા સંજય નિરૂપમ 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 27 માર્ચ 2024, બુધવાર

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીમાં સીટ શેરિંગ અંગે ઘમસાણ મચ્યું છે. એક તરફ શિવસેના (UBT)એ પોતાના 17 ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે બીજી તરફ પ્રકાશ આંબેડકરની પાર્ટીએ નવ બેઠક પર પોતાના ઉમેદવારો નક્કી કરી દીધા છે. આવી સ્થિતિમાં હવે કોંગ્રેસમાં બળવાના સૂર સંભળાઈ રહ્યા છે. મુંબઈ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે શિવસેનાની ટિકીટ વહેંચણી પર આકરા પ્રહાર કર્યા છે અને પોતાની પાર્ટી પર પણ ભડક્યા છે. 

સંજય નિરૂપમે કહ્યું કે, આજે સવારે શિવસેના (UBT)એ મુંબઈની 4 બેઠકો પર જાહેર કરી દીધા છે અને પાંચમી બેઠક પર કાલ સુધીમાં જાહેર કરી દેશે. કોંગ્રેસને એક સીટ ભીખની જેમ આપી દીધી. હું તેનો વિરોધ કરુ છું. હું શિવસેના અને કોંગ્રેસ તરફથી જે વાતચીત હતી તેમાં સામેલ હતો. નોર્થ વેસ્ટનો જે શિવસેનાનો ઉમેદવાર છે તેના પર ભ્રષ્ટાચારનો આરોપ છે. કોરોના મહામારી દરમિયાન ખીચડી કૌભાંડ કર્યો હતો અને આવા ખીચડી ચોરને ઉદ્ધવ ઠાકરેએ ઉમેદવાર બનાવ્યો છે. હું જાહેરાત કરું છું કે, આવા ખીચડી ચોર માટે હું પ્રચાર નહીં કરું. 

પોતાની જ પાર્ટી પર સાધ્યું નિશાન

પોતાની જ પાર્ટી પર નિશાન સાધતા નિરૂપમ કહ્યું કે, 'કોંગ્રેસ નેતૃત્વએ ઘણા દિવસોથી મારી સાથે વાત પણ નથી કરી. મને પૂછવામાં પણ ન આવ્યું. કોંગ્રેસ દેશમાં ન્યાયની વાત કરે છે પરંતુ પોતાના લોકો પર જ ધ્યાન નથી આપતી. હું મારા ક્ષેત્રમાં ઘણા વર્ષોથી કામ કરું છું. પરંતુ ટોચના નેતૃત્વએ સંજ્ઞાન ન લીધું અને શિવસેના સામે ઝૂકી ગયા. હું મારા નેતૃત્વને 1 અઠવાડિયાનો સમય આપું છું અને જો નિર્ણય લેવામાં ન આવે તો એક અઠવાડિયામાં હું મારો સ્વતંત્ર નિર્ણય લઈશ અને લડાઈ હવે આર-પારની થશે. જે રીતે કોંગ્રેસની બેઠકો છીનવાઈ છે અને કોંગ્રેસના લોકો અલગ થયા તેમાં શિવસેના (UBT)નો છુપાયેલ હેતુ કોંગ્રેસને ખતમ કરવાનો હોઈ શકે છે.

સાવંતના પ્રહાર પર નિરૂપમનો પલટવાર

બીજી તરફ સંજય નિરૂપમના નિવેદન પર શિવસેના (UBT) તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. પાર્ટી નેતા અરવિંદ સાવંતે કહ્યું કે, કોણ છે સંજય નિરૂપમ? હું નથી ઓળખતો. ઉદ્ધવ ઠાકરેએ એક વખત સીટ જાહેર કરી દીધી તો વાત પતી ગઈ. સાવંતના આ નિવેદન પર સંજય નિરૂપમે કહ્યું કે, તેઓ નથી જાણતા, તેઓ વૃદ્ધ થઈ ગયા છે. અરવિંદ સાવંતની મેમોરી લોસ થઈ ગઈ છે. કોંગ્રેસનો જનાધાર હતો અને કોંગ્રેસને મુંબઈમાં દફનાવવામાં શિવસેનાએ મદદ કરી. કોંગ્રેસને મુંબઈમાં બચાવવામાં અમારું નેતૃત્વ નિષ્ફળ થઈ ગયું છે. કોંગ્રેસ દેશમાં ન્યાયની વાત કરે છે પરંતુ પોતાના લોકો પર ધ્યાન પણ નથી આપતી. 


Google NewsGoogle News