સમીર વાનખેડેને ધાર્મિક કટ્ટરપંથી દ્વારા હત્યાની ધમકી
બાંગ્લાદેશથી ધમકી અપાઈ હોવાનો દાવો
વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશનર અને ગોરેગામ પોલીસને જાણ કર
મુંબઈ : મુંબઈ નાર્કોટિક્સ બ્યુરો (એનસીબી)ના ભૂતપૂર્વ વડા સમીર વાનખેડેને બાંગ્લાદેશથી કથિત રીતે 'ધાર્મિક કટ્ટરપંથી' દ્વારા મારી નાખવાની ધમકી મળ્યા બાદ પોલીસે તપાસ ચાલુ કરી છે.
હાલમાં ચેન્નાઈમાં ફરજ બજાવતા વાનખેડેને સોમવારે બપોરે ધમકીભર્યો ફોન કરવામાં આવ્યો હતો. મુંબઈમાં વાનખેડેનું કાયમી નિવાસસ્થાન છે. તેમણે મુંબઈ પોલીસ કમિશનર અને ગોરેગામ પોલીસને એક ઈ-મેલ મોકલી ધમકીની જાણ કરી હતી.
અગાઉ એક કાર્યક્રમમાં ઈન્ટરવ્યુ આપતા વાનખેડેએ કહ્યું હતું કે તેઓ અંડરવર્લ્ડથી ડરતા નથી. અંડરવર્લ્ડના ગુંડા અમારે માટે ખૂનના ગુનેગારો છે. તેમના નામ જણાવીને અમે તેમને પ્રસિધ્ધિ આપવા માંગતા નથી. વિદેશમાં બેસીને ધમકી આપવા કરતા, હિંમત હોય તો મારી સામે આવીને વાત કરવી જોઈએ.
અગાઉ અભિનેતા શાહરૃખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ પ્રકરણના લીધે વાનખેડે ચર્ચામાં હતા. એનસીબીએ બીજી ઓક્ટોબર, ૨૦૨૧ના મુંબઈની ગોવા જતા કાર્ડેલિયા ક્રુઝ પર દરોડા પાડી ડ્રગ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો. આ મામલામાં આર્યન ખાન અને અન્યની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં આર્યનને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
બીજી તરફ આ કેસમાં વાનખેડેની તપાસ પ્રક્રિયાને પર અનેક સવાલો ઉભા થયા હતા. તેમના પર ભ્રષ્ટાચાર આરોપો મૂકાયા હતા. સીબીઆઈએ કેસ નોંધીને તપાસ શરૃ કરી હતી.