સાઈબાબા મુસ્લિમ નહીં, બ્રાહ્મણ હતા અપમાન કરનારા સામે કાનૂની પગલાંની માગ

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
સાઈબાબા મુસ્લિમ નહીં, બ્રાહ્મણ હતા અપમાન કરનારા સામે કાનૂની પગલાંની માગ 1 - image


કાંદિવલી પૂર્વના સાઈધામ મંદિર ટ્રસ્ટની હાઈકોર્ટમાં અરજી

મધ્ય પ્રદેશના શંકરાચાર્ય સ્વામિ સ્વરૃપાનંદ સરસ્વતિના નિવેદનનોે વિરોધ, સાંઈ બાબાને મુસ્લિમ ગણાવી અનુયાયીઓની આસ્થા દૂભવી છે

મુંબઈ -  ધર્મગુરુ  સાઈ બાબાનું અપમાન અને બદનામી કરનારા સામે કાનૂની પગલાં લેવા કાંદિવલી પૂર્વના સાઈધામ મંદિરના ટ્રસ્ટે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરીને દાવો કર્યો છે કે સાઈબાબા મુસ્લિમ નહીં પણ બ્રાહ્મણ હતા.

ટ્રસ્ટના ચીફ ટ્રસ્ટી રમેશ જોશીએ કરેલી અરજીમાં મધ્ય પ્રદેશના શંકરાચાર્ય સ્વામિ સ્વરૃપાનંદ સરસ્વતિ સામે  સાઈબાબાને મુસ્લિમ કહ્યાનો આરોપ કર્યો છે અને આથી તેમના અનુયાયીઓની આસ્થા અને લાગણીને દુભાવાઈ હોવાનું જણાવ્યું છે.

મરાઠીમાં લખેલું અને શ્રી સાઈ  બાબા સંસ્થાન ટ્રસ્ટ, શિરડી દ્વારા પ્રકાશિત ગોવિંદ રઘુનાથ દાભોળકર દ્વારા લેખિત  શ્રી સાઈ સતચરિત્રને સાઈ  ભક્તો પવિત્ર ગ્રંથ તરીકે પૂજે છે, એમ અરજીમાં જણાવ્યું હતું. પુસ્તકમાં સ્પષ્ટ જણાવાયું છે કે પાથારી ગામમાં જન્મેલા સાઈ બાબા મુસ્લિમ હતા એ દ ર્શાવતો કોઈ પુરાવે કોઈની પાસે નથી.સાઈ બાબા હિન્દુ (બ્રાહ્મણ) હોવાથી એવો કોઈ પુરાવો જ નહીં જડે. તેમને તેમના માતાપિતાએ નાનપણમાં મુસ્લિમ ફકિરે સોંપી દીધા હતા, એમ અરજીમાં જણાવાયું હતું.

સરસ્વતિ અને તેમના ભક્તોએ અનેક બદનક્ષી અને અપમાનીત કરનારા નિવેદનો કર્યા છે. તેમણે જણાવ્યંંુ હતું કે  સાઈ બાબા સંત કે ભગવાન નથી અને જ્યારે મુસ્લિમો તેમને માનતા નથી તો  હિન્દુઓ કેમ તેમને માને છે, એવો આરોપ અરજીમાં કરાયો હતો.

અરજદારના જણાવ્યા મુજબ શિરડી સ્થિત ટ્રસ્ટે સરસ્વતિ સામે  કડક  કાનૂની પગલાં લેવા જોઈતા હતા, તેમણે કંઈ નહીં કરતાં અમારી પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ નથી.

 સાઈ બાબા વિશેના સરસ્વતિ અને ભક્તોના નિવેદનને પ્રકાશિત કરવાથી નહીં અટકાવીને રાજ્ય અને કેન્દ્ર સરકારે નિષ્ફળતા દાખવી છે.

સરસ્વતિએ ભારતના હિન્દુમંદિરોમાં રખાયેલી  સાઈ બાબાની મૂર્તિઓ હટાવવા કમિટી રચવાનું નક્કી કર્યું હોવાનું તેમને મીડિયા મારફતે જણાયું હોવાનું પણ ટ્રસ્ટે જણાવ્યું હતું.આવા કોઈ પગલાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડશે, એમ અરજદારે જણાવ્યું હતું.

મીડિયાને બદનામી કરતા સમાચાર  પ્રકાશિત કરવાથી અટકાવવાનો નિર્દેશ આપવા સાથે અરજીમાં કેન્દ્ર અને રાજ્યને આ બાબતે પગલાં લેવાનો નિર્દેશ અપાવાની પણ દાદ માગવામાં આવી છે.


Google NewsGoogle News