રાણીબાગમાં પર્યટકોનો ધસારો થતાં પાલિકાની આવકમાં ધરખમ વધારો

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
રાણીબાગમાં પર્યટકોનો ધસારો થતાં પાલિકાની આવકમાં ધરખમ વધારો 1 - image


પેંગ્વિન સહિત અન્ય નવા પ્રાણીઓ આવ્યા પછી

દસ વર્ષમાં લગભગ દોઢ કરોડ પર્યટકોની મુલાકાત લગભગ 42 કરોડ રૃપિયા તિજોરીમાં ભેગા જમા

મુંબઇ -  ભાયખલા સ્થિત જીજામાતા ઉદ્યાન અને પ્રાણી ગૃહાલય (રાણીબાગ)માં આવેલા નવા પ્રાણીઓને પગલે અહીં પર્યટકોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. જેના પગલે મુંબઇ મહાનગર પાલિકાને આવકમાં પણ જોરદાર વધારો થયો છે. છેલ્લા ૧૦ વર્ષમાં લગભગ દોઢ કરોડ પર્યટકોએ રાણીબાગમાં આવ્યા હતા. અને પાલિકાની તિજોરીમાં અંદાજે ૪૨ કરોડ રૃપિયાથી વધુ આવક જમા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૮ લાખ ૯૭  હજાર પ્રવાસીઓએ રાણીબાગની મુલાકાત લેતા પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. રાણી બાગમાં આકર્ષક કેન્દ્રમાં ટાઇગર, પેગ્વિન સહિત અનેક પ્રાણીઓ, આકર્ષક છોડ અને દુર્લભ વૃક્ષો છે. અહીં ૬૬૦૦ વિવિધ વૃક્ષો અને ૩૫૦ વિવિધ જાતિના પ્રાણીઓ છે. કોરોના સમયગાળા દરમિયાન બંધ રહ્યા બાદ નવેમ્બર ૨૦૨૧થી રાણીબાગને ફરીથી ખોલવામાં આવ્યો હતો. કોરોનાનો પ્રતિબંધ સંપૂર્ણ રીતે દૂર કર્યા બાદ રાણીબાગમાં પર્યટકોનો જોરદાર વધારો થવા લાગ્યો હતો. જેના પગલે આવકમાં વધારો થયો છે.

હવે આ રાણીબાગના વિસ્તરણ સાથેસાથ તેને અડીને આવેલા દસ એકરની જમીન પર વિદેશી પ્રાણીઓ લાવવાની પ્રક્રિયા સુદ્ધા અત્યારે હાથ ધરાયેલી છે. રાણીબાગમાં પેગ્વિંન પર્યટકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. ૧૭ માર્ચ ૨૦૧૭થી રાણીબાગમાં પેંગ્વિન આવ્યા છે. ત્યા વેળા પેંગ્વિનની સંખ્યા આઠ હતી હવે તે વધીને સંખ્યા ૧૮ થઇ ચે. આમાં નવ નર અને નવ માંદા પેગ્વિંન છે. આ પેંગ્વિનની દેખભાળ પાછળ પણ પાલિકા કરોડો રૃપિયાનો ખર્ચ કરે છે.

રાણીબાગમાં પેંગ્વિન આવ્યા બાદ પર્યટકોની સંખ્યામાં ધરખમ વધારો નોંધપાત્ર થયો છે. આવકમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. રાણીબાગની સારસંભાળ કરવા માટે પ્રત્યેક બુધવારે બંધ રાખવામાં આવે છે. બાકીના દિવસોમાં સવારે સાડા નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રાણીબાગ પર્યટકો માટે ખુલ્લો રહે છે.

બુધવારે સાપ્તાહિક રજા હોય છે. પરંતુ તે દિવસે સાર્વજનિક રજા હોય તો તે દિવસે રાણીબાગ ખુલ્લો રાખીને બીજા દિવસે બંધ રાખવામાં આવે છે. અહીં પ્રૌઢ વ્યક્તિ દીઠ ફી ૫૦ રૃપિયા અને ૩થી ૧૨ વર્ષ સુધીના બાળકો માટે ટિકિટ દર રૃા. ૨૫ રાખ્યો છે. વિદેશી અને અન્ય રાજ્યથી આવતા પ્રૌઢ વ્યક્તિ માટે રૃા. ૪૦૦ અને ૩થી ૧૨ વર્ષના બાળકો માટે રૃા. ૨૦૦ ટિકિટ દર છે.

જ્યારે પ્રત્યેક શુક્રવારે ૧૨ વર્ષથી નીચેની વયના બાળકોને રાણીબાગમાં પ્રવેશ ફી નિઃશુલ્ક છે. તેમજ ૬૦ વર્ષની ઉરરના સીનિયર સીટીથી અને દિવ્યાંગ વ્યક્તિને નિઃશુલ્ક પ્રવેશ છે.



Google NewsGoogle News