માટુંગામાં નિવૃત્ત એસીપીનો 7મા માળેથી ઝંપલાવી આપઘાત
ડિપ્રેશનનો શિકાર બન્યા હોવાની શંકા
સાંજે બિલ્ડિંગના રેફ્યૂજ એરિયામાં પહોંચી નીચે ઝંપલાવ્યું : કોઈ સ્યુસાઈડ નોટ પણ મળી નથી
મુંબઈ :મુંબઈના માટુંગા વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષીય નિવૃત્ત સહાયક પોલીસ કમિશનર (એસીપી) પ્રદીપ પ્રભાકર ટેમકરે પોતાની રહેણાંક બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને અપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસે દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું હતું. આ બનાવને કારણે મુંબઈના પોલીસ વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે.
સોમવારે બનેલી આ ઘટના બાદ મુંબઈ પોલીસ અપઘાત પાછળનું મૂળ કારણ જાણવા માટે તપાસ શરૃ કરી દીધી છે.
અધિકારીએ આપેલી માહિતી અનુસાર પ્રદીપ પ્રભાકર ટેમકર દેવધર રોડ પર ગંગા હેરિટેજ બિલ્ડિંગના રહેવાસી હતા. પ્રદીપ પ્રભાકર ટેમકર ૨૦૧૪ માં મુંબઈ પોલીસ દળમાંથી નિવૃત્ત થયા હતા અને તે છેલ્લા કેટલાક વર્ષોથી ડિપ્રેશનથી પીડાત હતા અને તેમની સારવાર ચાલી રહી હોવાની માહિતી અધિકારી દ્વારા આપવામાં આવી હતી. સોમવારે સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં તેમણે બિલ્ડિંગ ના રેફ્યુજ એરિયા પરથી નીચે ઝંપલાવ્યું હતું. તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, તેઓ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મૃત્યુ પામી ચૂક્યા હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
તેઓ આ બિલ્ડિંગમાં પત્ની તથા બે પુત્રો સાથે રહેતા હતા. બનાવ વખતે તેમનો પરિવાર ઘરે જ હતો. તેમની કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. તેમના પરિવારજનોએ પણ બનાવ અંગે કોઈ આશંકા વ્યક્ત કરી નથી તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.