પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયાની પોસ્ટથી ખળભળાટ

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયાની પોસ્ટથી ખળભળાટ 1 - image


પૂનમના ઈન્સ્ટા એકાઉન્ટ પરથી જ માહિતી અપાઈ

પરિવારજનોએ પૂનમની મીડિયા ટીમને માહિતી આપી, જોકે, મોટાભાગના લોકોએ આ સમાચાર અવિશ્વસનીય ગણાવ્યા

મુંબઇ :  મોડલ પૂનમ પાંડેનું સર્વાઈકલ કેન્સરથી નિધન થયું હોવાના સમાચાર તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપાયા હતા. બાદમાં તેની ટીમ દ્વારા કન્ફર્મ કરાયું હતું કે પૂનમની બહેને જ તેમને આ સમાચાર આપ્યા છે. જોકે, હજુ થોડા દિવસો પહેલાં હરતી ફરતી અને સ્વસ્થ દેખાતી હોવાના વીડિયો જોનારા મોટાભાગના લોકોને આ સમાચાર અવિશ્વસનીય લાગ્યા હતા. 

પૂનમના ઈન્સ્ટા એકાઉન્ટ પર મુકાયેલી પોસ્ટમાં જણાવાયું હતું કે આજની સવાર બહુ અશુભ છે. સર્વાઈકલ કેન્સરના કારણે પૂનમ હવે આ દુનિયામાં નથી રહી. આ દુઃખની ઘડીમાં પરિવારની પ્રાઈવસીનો ખ્યાલ રાખવા સૌને અપીલ છે. 

આ સમાચાર ફેલાયા બાદ કેટલાય પૂછપરછનો મારો ચાલતાં તેની ટીમે કન્ફર્મ કર્યું હતું કે પૂનમ છેલ્લા કેટલાક સમયથી તેના વતન કાનપુરમાં શિફ્ટ થઈ ગઈ હતી. તેની બહેને જ તેના નિધનના સમાચાર આપ્યા છે. જોકે, અમે વધારે વિગતો મેળવવા પ્રયાસ કરી રહ્યા છીએ. 

મોટાભાગના લોકોને આ પોસ્ટ અવિશ્વસનીય લાગી હતી. હજુ થોડા દિવસો પહેલાંજ પૂનમ ગોવામાં એક પાર્ટીમાં હાજર હોવાના વીડિયો વહેતા થયા હતા. તે વીડિયો પરથી તે સહેજે અસ્વસ્થ કે બીમાર જણાતી ન હતી. 

સોશિયલ મીડિયા પર સંખ્યાબંધ તબીબોએ પણ એમ જણાવ્યુ ંહતું કે સવાઈકલ કેન્સરથી આમ સાવ અચાનક રાતોરાત મોત થાય તેવી શક્યતા બહુ ઓછી હોય છે. 

કેટલાક લોકોએ એમ કહ્યું હતું કે જો પૂનમને ખરેખર સર્વાઈકલ કેન્સર હોય અને આ રીતે રાતોરાત તેનું નિધન થયું હોય તો તે વિશે  તપાસ થવી જોઈએ. 

આ સપ્તાહમાં જ 'વિશ્વ કેન્સર દિવસ' મનાવાશે. આ ઉપરાંત સર્વાઈકલ કેન્સર માટે રસી આવી રહી હોવાના પણ અહેવાલો છે. આ બધા સંદર્ભમાં પૂનમનાં નિધનના સમાચાર કોઈ પબ્લિસિટી સ્ટન્ટ તો નથી ને તેવી પણ આશંકા અનેક લોકોએ વ્યક્ત કરી હતી. 

જોેકે, સંખ્યાબંધ સેલિબ્રિટીઓએ તેને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. 

પૂનમે થોડા સમય પહેલાં કંગના રણૌતે હોસ્ટ કરેલા શો 'લોકઅપ'માં કામ કર્યું હતું. કંગનાએ તેક પાર્ટિસિપન્ટ તરીકે પૂનમને યાદ કરી અંજલિ આપી હતી. આ ઉપરાંત પૂજા ભટ્ટ  સહિતના કેટલાક કલાકારોએ પણ તેનાં નિધન અંગે દુઃખ વ્યક્ત કયુ હતું. 

પૂનમ તેનાં વિવાદાસ્પદ નિવેદનો તથા બોલ્ડ વીડિયોઝના કારણે જાણીતી હતી. અગાઉ તેણે ભારત વિશ્વ કપ  જીતશે તો પોતે વસ્ત્રવિહિન થઈ દોટ લગાવશે તેવું નિવેદન આપી સનસનાટી મચાવી હતી. જોકે, બાદમાં તેણે ભારે વિવાદને કારણે પોતાનો ઈરાદો પડતો મુક્યો હતો. ગોવામાં  એક સેમી ન્યૂડ વીડિયો બાબતે તેના પર કેસ પણ થયો હતો. તેણે તેના પતિ પર પોતાને માર માર્યો હોવાનો આરોપ પણ મુક્યો હતો.



Google NewsGoogle News