પહલગામ હુમલાને પગલે પાલઘર દરિયાઈ સુરક્ષા વધારવામાં આવી
હાલ ડ્રોન અને ખાનગી બોટથી હાલ કામ ચલાવાઈ રહ્યું છે
પાલઘર યુનિટમાં કુલ ચાર બોટમાંથી એક બોટ જ કાર્યરત , બાકીની બેના સમારકામનો ઓર્ડર અપાયો
મુંબઈ - કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાના પગલે પાલઘર ભાગના દરિયાઈ સુરક્ષાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. તેમ જ બધા સાગરી ખાડી પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં આવતા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
પાલઘર જિલ્લા દરિયાઈ સુરક્ષા માટે પાલઘર યુનિટમાં કુલ ચાર બોટ છે. એક બોટ કાર્યરત છે અને નિયમિત દરિયાઈ પેટ્રોલિંગ કરી રહી છે. ચાર બોટ પૈકી એક આઉટ બોટને રિપેર કરવા સ્થાનિક રિપેરમેનને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે અને તે બોટનું સમારકામ ચાલુ છે. તેમ જ બાકીની બે બોટના આધુનિકીકરણ (સમારકામ) કરવા માટે ૨૫ મી માર્ચના શાસનના નિર્ણયથી ફંડ મંજૂર કરવામાં આવ્યું હોવાથી સમારકામની કામગીરી પ્રક્રિયા શરૃ છે.
પાલઘર એકમના મત્સ્ય વિભાગ સાથે સમન્વય કરીને કિનારા પર બે ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. પાલઘર વિસ્તારમાં, જરૃરિયાત મુજબ ખાનગી બોટનો ઉપયોગ કરીને દરિયાઇ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ભારતીય કોસ્ટ ગાર્ડ, મત્સ્ય વિભાગ, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ, કસ્ટમ્સ અને પોલીસ દળો દ્વારા નિયમિતપણે સંયુક્ત દરિયાઈ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. પાલઘર વિસ્તારમાં લેન્ડિંગ પોઈન્ટ, કોસ્ટલ પોસ્ટ અને માર્મસ્થલ પર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને તેની નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
પહલગામ આતંકી હુમલાના પગલે પાલઘર યુનિટના તમામ સુરક્ષા દળોને એલર્ટ રહેવા માટે બલ્ક મેસેજ મોકલવામાં આવ્યા છે. ઉપરાંત, કોસ્ટ ગાર્ડ, સુરક્ષા રક્ષકો, સ્થાનિક માછીમાર સોસાયટી અને માછીમારોના સંપર્કમાં છે અને જો કંઈપણ શંકાસ્પદ જણાય તો તરત જ પાલઘર કંટ્રોલ રૃમ અને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
પાલઘર પોલીસે દરિયાઈ માટે દહાણુમાં બે સાતપાટી અને વિરારમાં પ્રત્યેક એક એમ ચાર પેટ્રોલિંગ બોટ ભાડે લીધી હતી. આ બોટ ૨૦ માર્ચથી કાર્યરત થઈ નથી, કારણ કે તે નવેમ્બરથી ૧૦૦ દિવસના કરાર હેઠળ હતી. બીજી તરફ, ૧ ઓગસ્ટથી ૩૧ મે (અંદાજે ૨૪૫ દિવસ) સુધી પશ્ચિમ કિનારે સમગ્ર સીઝન માટે પેટ્રોલિંગ બોટને ભાડે આપવા માટે વરિષ્ઠ સ્તરે દરખાસ્ત મોકલવામાં આવી હોવા છતાં હજુ સુધી તેને વહીવટી મંજૂરી મળી નથી.
મુંબઈ અને મુંબઈ ઉપનગરો તેમ જ પાલઘર અને થાણેના ચાર જિલ્લાઓમાં અંદાજે ૨૭૦ કિલોમીટર-લાંબા દરિયાકાંઠા સાથે માછીમારીના નિયમોનો અમલ કરવા અને બંદર વિસ્તાર પર દેખરેખ રાખવા માટે ફિશરીઝ વિભાગ પાસે માત્ર બે પેટ્રોલિંગ બોટ છે. તેમાંથી ૧૨૦ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવતા પાલઘર અને થાણે જિલ્લાઓ માટે માત્ર એક જ બોટ ઉપલબ્ધ છે અને આ વિસ્તારમાં ૨૬ ફિશિંગ પોર્ટ કાર્યરત છે.
આ વિશે સાતપાટી ફિશરીઝ વિભાગના રાજન મેહેરે જણાવ્યું હતું કે 'ફિશરીઝ વિભાગ બે ડ્રોનનો ઉપયોગ કરીને ખાડી પર નજર રાખી રહ્યું છે અને જો કાંઠે વિદેશી બોટની કોઈ હિલચાલ જણાય તો તરત જ પોલીસને જાણ કરવામાં આવશે. આ અંગે સ્થાનિક માછીમારોને પણ જાણ કરવામાં આવી છે અને બહારથી કોઈ બોટ જોવા મળશે તો તમામને એલર્ટ રાખવામાં આવશે.'