રિક્ષા એક્સિડેન્ટમાં ઈજાગ્રસ્ત મહિલાને 11.15 લાખનું વળતર આપવા આદેશ
2014 ના અકસ્માતમાં થાણે મોટર એક્સિડન્ટ ટ્રિબ્યુનલનો ચુકાદો
મહિલાએ આંશિક અક્ષમતાને લઈ નોકરી ગુમાવીઃ રિક્ષા ચાલક અને વીમા કંપનીને સંયુક્તપણે ભરપાઈ કરવા આદેશ
મુંબઈ - ૨૦૧૪ના ઓટો રિક્ષા અકસ્માતમાં ઈજા પામેલી મહિલાને રૃ. ૧૧.૧૫ લાખનું વળતર આપવાનો આદેશ થાણેના મોટર એકિસડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી)એ આપ્યો છે.
ચેરમેન અગ્રવાલે શમીમ ઈકબાલ શેઠ નામની હોસ્પિટલની ભૂતપૂર્વ એડમિનિસ્ટ્રેટરને આ વળતર આપવાનો આદેશ આપ્યો હતો. મહિલાને અકસ્માતમાં આંશિક અક્ષમતા આવી છે.
કેસની વિગત અનુસાર શેઠ ૨૮ ઓક્ટોબર ૨૦૧૪ના રોજ ઓટોરિક્ષામાં પ્રવાસ કરી રહી હતી ત્યારે સંજય ગાંધી નેશનલ પાર્ક ફ્લાયઓવર પાસે કાર સાથે રિક્ષા અથડાઈ હતી. ઓટોરિક્ષા ચાલક કથિત રીતે બેફામ અને બેદરકારીથી વાહન ચલાવતો હોવાનો આરોપ કરાયો હતો.
મહિલાને ગંભીર ઈજા થઈ હતી અને ત્રણ સર્જરી કરાવી પડી હતી. ડાબા અંગમાં તેને આંશિક અક્ષમતા આવી હતી. હોસ્પિટલમાં તેની રિસેપ્શનિસ્ટ કમ એડમિનિસ્ટ્રેટની નોકરી પણ ગુમાવી હતી.તેને મહિને રૃ. ૧૮૫૦૦નો પગાર હતો.
ટરિબ્યુનલને જણાયું હતું કે ઓટોરિક્ષા ચાલક જવાબદાર છે. વાહનનો વીમો ધરાવનાર કંપનીએ દાવો કર્યો હતો કે ડ્રાઈવર પાસે યોગ્ય લાયસન્સ નહોતું. માલિક અને વીમા કંપની સંયુક્ત રીતે જવાબદાર છે.
દાવેદારની ઈજાની ચેરમેને નોઁધ લીધી હતી પણ ભવિષ્યમાં તેની આવક રળવાની ક્ષમતા પર ગંભીર અસર થશે નહીં એમ પણ જણાવ્યું હતું. ટ્રિબ્યુનલે ૭.૫ ટકા વ્યાજ સાથે રૃ. ૧૧.૧૫ લાખનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો.