નાફેડ તથા એનસીસીએફ દ્વારા થયેલી ડુંગળીની ખરીદીની તપાસ કરવા આદેશ

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
નાફેડ તથા એનસીસીએફ દ્વારા થયેલી ડુંગળીની ખરીદીની તપાસ કરવા આદેશ 1 - image


મુંબઈ :  નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) તથા  નેશનલ કોઓપરેટિવ કન્ઝયૂમર્સ' ફેડરેશન ઓફ ઈન્ડિયા લિ. (એનસીસીએફ)  દ્વારા ડુંગળીની ખરીદી અંગેની તપાસ કરી તેનો રિપોર્ટ સુપરત કરવા નાસિક જિલ્લાધિકારીએ તહસીલદારને આદેશ આપ્યો છે. કાંદાના ભાવને ઘટતા અટકાવવા કેન્દ્ર સરકારે નાફેડ તથા એનસીસીએફને સૂચના આપી છે.

ખેડૂતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૨૪૦૦ના ભાવે ખરીદી કરવાનું જરૃરી છે. પરંતુ તેનાથી નીચા ભાવે ખરીદી કરી કેન્દ્રીય એજન્સીઓ બજારમાં પણ નીચા ભાવે માલ ઠાલવે છે, જેને કારણે પોતાને નુકસાન થતું હોવાનું જણાવી ટ્રેડરો છેલ્લા ત્રણ દિવસથી ઓકશનમાં ભાગ નથી લઈ રહ્યા. 

એનસીસીએફે પોતાના ખરીદી કેન્દ્ર કયા છે તેની કોઈ માહિતી પૂરી પાડી નહીં હોવાનું બજારમાં ચર્ચાઈ રહ્યું છે. નાફેડ તથા એનસીસીએફ  એપીએમસીને બદલે રિટેલમાં કાંદા વેચે તેમ ટ્રેડરો ઈચ્છી રહ્યા છે. આ ઉપરાંત ગયા મહિને લાગુ કરાયેલી ૪૦ ટકા નિકાસ ડયૂટી પડતી મૂકવાની પણ ટ્રેડરોની માગ રહેલી છે. 

નાફેડ તથા એનસીસીએફ દ્વારા કાંદાની ખરીદીની સંપૂર્ણ વિગતો જેમ કે, ચૂકવાયેલા ભાવ, કોની પાસેથી ખરીદી કરવામાં આવી, કેટલી ખરીદી કરાઈ વગેરે માહિતી એકત્રિત કરવા તહેસીલદારને સૂચના અપાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.



Google NewsGoogle News