એસટી કર્મચારીઓના વેતનમાં પેસેન્જર ટેક્સનું 780 કરોડ રૃપિયા ચૂકવવાનું વિઘ્ન

Updated: May 8th, 2024


Google NewsGoogle News
એસટી કર્મચારીઓના વેતનમાં પેસેન્જર ટેક્સનું 780 કરોડ રૃપિયા ચૂકવવાનું વિઘ્ન 1 - image


આ મહિને પગાર મળશે કે નહીં તેવી શંકા

સરકારી અધિકારીઓ, કોર્ટની કબૂલાત છતાં  પગાર આપવામાં શરતો લાદતા હોવાનો આક્ષેપ

મુંબઇ :  એસટી કર્મચારીઓના પગારમાં સરકારી અધિકારીઓએ વિઘ્ન ઉભું કર્યું છે. સરકારને પેસેન્જર ટેક્સના ૭૮૦ કરોડ રૃપિયા એડવાન્સમાં ચૂકવો પછી જ પગારમાં ઘટતી રકમ કર્મચારીઓને ચૂકવવામાં આવશે. તેવું સરકારી અધિકારીઓએ કહ્યું હોવાનો આક્ષેપ  યુનિયનના નેતાઓએ કર્યો છે. 

એસટીના કર્મચારીઓ અને અધિકારીઓને દર મહિને સાતમી તારીખે વર્ષોથી વેતન મળતું હતું. કોરોના તથા હડતાળ બાદ ઘણી વખત સમયસર વેતન મળ્યું નથી. હડતાળ પછી સરકારે કોર્ટને આપેલી  ખાતરી મુજબ સાત તારીખ નીકળી જાય તો ૧૦મી તારીખે વેતન મળી જાય છે. પણ આ મહિને ૧૦મી તારીખ સુધી પગાર મળશે કે નહીં ? તેવી શંકા નિર્માણ થઇ છે. કારણ કે પ્રવાસી કર ના ૭૮૦ કરોડ  રૃપિયા પહેલા સરકારને ચૂકવો પછી જ પગારમાં ઘટતી રકમ ચૂકવવામાં આવશે તેવું કહેનારી સરકારની બેવડી ભૂમિકા સ્પષ્ટ દેખાઇ રહી છે  એવુ યુનિયનના નેતાઓએ કહ્યું છે. 

એક તરફ  લાંબાગાળાની હડતાળ બાદ સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી ત્રણ સભ્યોની કમિટીએ એસટીને દર મહિને વેતન અને ખર્ચમાં ઘટતી રકમ ચૂકવવાની લેખિત ખાતરી હાઇકોર્ટમાં  આપી હતી. બીજી  બાજુ દર મહિને સરકારી અધિકારીઓ વિક્ષેપ ઉભા કરે છે. ગત દોઢ વર્ષથી પ્રવાસી કરની ૭૮૦ કરોડ રૃપિયા રકમ સરકારને તત્કાળ ચૂકવવી નહિંતર આ મહિને આર્થિક સહાય અપાશે નહીં. આવી શરત લાદવામાં આવી હોવાથી પગાર તથા અન્ય ખર્ચમાં ઘટતી રકમની સરકાર સમક્ષ માગણી કરતી ફાઇલ એસટીને પરત મોકલવામાં આવી છે. તેથી આ મહિનાનો પગાર કેવી રીતે ચૂકવવો તેવો પ્રશ્ન એસટી સમક્ષ ઉભો થયો છે.

વાસ્તવમાં હાઇકોર્ટમાં સરકારે આપેલી ખાતરી પ્રમાણે ખર્ચમાં ઘટતી રકમ દર મહિને અપાશે તેવી સ્પષ્ટતા છતાં બિન લાગુ પડતા મુદ્દા ઉભા કરવામાં આવી રહ્યા છે. પેસેન્જર ટેક્સની રકમ સુદ્ધા ખર્ચમાં ઘટતી રકમ હોવાથી તે પણ સરકારે જ આપવી જોઇએ. અથવા સરકારે પોતાના ખાતામાં ડાયરેક્ટ નાખવી જોઇએ ભંડોળ આપવાનું સરકારને પરવડે તેમ નહોતું તો કોર્ટમાં ખાતરી શા માટે આપી ? તેવો પ્રશ્ન પણ ઉઠાવાયો છે. 


Google NewsGoogle News