માઘી ગણેશોત્સવમાં પણ પીઓપીની પ્રતિમા નહિઃ હાઈકોર્ટ
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રતિબંધને બહાલી
મૂર્તિકારોની રાહત માટેની અરજી ફગાવીઃ પાલિકાઓને અમલનો આદેશ
મુંબઈ - રાજ્યમાં માઘી ગણેશ મહોત્સવ પૂર્વે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓ બનાવીને વિસર્જન કરવા પરની બંધીને બહાલ કરતો વચગાળાનો આદેશ બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે આપ્યો છે.
આ વર્ષે પહેલી ફેબુ્રઆરીએ માઘી ગણેશ જયંતિ આવે છે. ગણપતિના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને ગણેશ મૂર્તિ તૈયાર કરીને તેમનું વિસર્જન કરવામાં આવે છે.
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ મૂર્તિ બનાવવા પીઓપીના વપરાશ કરવા પર બંધી લાધી છે. પીઓપીની મૂર્તિનું વિસર્જન કરવાથી પાણીનું પ્રદૂષણ થતું હોવાનું કારણ આપવામાં આવ્યું છે.
મુખ્ય ન્યા. અલોક આરાધે અને ન્યા. ભારતી ડાંગરેની બેન્ચે રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને આગામી મહોત્સવ પૂર્વે સીપીસીબીના નિયમોનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યમાં મુંબઈ મહાનગરપાલિકા, છ અન્ય મહાપાલિકા અને ચાર નગરપરિષદોને માટે નિર્દેશો અપાયા છે.
વચગાળાના તબક્કે બંધી લાદવા સામે મૂર્તિકારોએ કરેલી અરજીને પણ હાથ ધરવાનો કોર્ટે ઈનકાર કર્યો હતો. આ કેસની સુનાવણી ૨૦ માર્ચ પર રાખવામાં આવી છે.