ઉલ્હાસનગરમાં કંપનીમાં નાઇટ્રોજન કન્ટેનરમાં સ્ફોટ : 1નું મોત, 4 જખમી
કંપનીની આસપાસના ઘરો હચમચી ગયા
મુંબઇ : ઉલ્હાસનગર નજીક આવેલી સેન્ચુરી રેયોન કંપનીમાં આજે નાઇટ્રોજન કન્ટેરમાં વિસ્ફોટ થતા એક કર્મચારી મોતને ભેટયો હતો. જ્યારે ચાર જણ ઘાયલ થયા હતા. ફાયરબ્રિગેડની ટીમે આગ પર નિયંત્રણ મેળવ્યું હતું આ ધડાકો એટલો જોરદાર હતો કે કંપનીથી થોડી દૂર આવેલા ઘરો હચમચી ગયા હતા. અને લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
વિસ્ફોટકનું કારણ પ્રાથમિક તપાસમાં જાણી શકાયું નહોતું. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ આદરી છે. થાણે મહાનગર પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે ઉલ્હાસનગર નજીક મુરબાડ હાઇવે પાસે શહાડમાં સેન્ચુરી રેયોન કંપનીમાં આજે સવારે ૧૦.૩૦ વાગ્યે અહીં પાર્ક કરાયેલા નાઇટ્રોજન ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો.
આ બનાવ બાદ મેન્યુફેકચરિંગ યુનિટમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધડાકા બાદ કંપનીમાં આગ ભભૂકી હતી. બ્લાસ્ટના કારણે આસપાસના તાનાજીનગર, ગુલશન નગર, શહાડ ફાટક, ધોબીઘાટ, શિવનેરી નગરના ઘરો હચમચી ગયા હતા રહેવાસીઓ ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ બનાવમાં કર્મચારી શૈલેશ યાદવ (ઉ.વ.૨૫)નું ગંભીર ઇજા થતા મૃત્યુ થયું હતું. તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટેનું મોકલવામાં આવ્યો હતો જ્યારે ઘાયલ કર્મચારી સાગર ઝાલટે (ઉ.વ.૪૪) પ્રકાશ નિકમ (ઉ.વ.૩૪) વાહન ચાલક પંડિત મોરે ડ્રાઇવને મદદ કરનાર હંસરાજ સરોજ (ઉ.વ.૫૨)ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્તમાંથી અમૂકની હાલત નાંજુક છે આથી કદાચ મૃત્યુઆંક વધી શકે છે.