વેસ્ટર્ન રેલવેમાં પ્રવાસીઓને આજથી વધુ હાલાકીઃ રોજની 316 ટ્રેનો રદ થશે
- વેસ્ટર્ન લાઈન પર લગભગ દર ચોથી ટ્રેન રદ થતાં ભારે હેરાનગતિની શક્યતા
- શુક્રવાર સુધી મોડી રાત તથા વહેલી સવારની ટ્રેનો પર મહત્તમ અસરની સંભાવનાઃ સ્ટેશનો પર ભીડ મેનેજ કરવા વધારાની પોલીસ ગોઠવાઈ
મુંબઈ : મુંબઈનાં પશ્ચિમી પરાંઓને સાંકળતી વેસ્ટર્ન લાઈન પર ખારથી ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈનની કામગીરીના કારણે તા. ૨૬મી ઓક્ટોબરથી રોજની ૨૦૦થી ૨૫૦ જેટલી લોકલ ટ્રેનો રદ થઈ રહી છે. પરંતુ, હવે સોમવારથી વધુ મહત્વની અને જટિલ કામગીરી શરુ થવાની હોવાથી રોજની ૩૦૦થી વધુ ટ્રેનો રદ થશે. આ કામગીરી શુક્રવાર સુધી ચાલશે અને તેના કારણે ખાસ કરીને મોડી રાત તથા સવારની મોટાભાગની ટ્રેનો પર અસર થવાની સંભાવના છે.
વેસ્ટર્ન લાઈન પર ટ્રેનો રદ થઈ રહી હોવાથી ભારે હાલાકી સર્જાઈ છે. વિરાર, બોરીવલી, અંધેરી, બાન્દ્રા, દાદર જેવાં સ્ટેશનો પર બેકાબૂ ભીડનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. અનેક કંપનીઓએ વર્ક ફ્રોમ હોમનાં ઓપ્શન આપ્યાં છે. કેટલીય કંપનીઓમાં શિફ્ટ બદલાઈ છે. કેટલાય લોકો શક્ય હોય ત્યાં સુધી મેટ્રો, ઓટો કે બેસ્ટની બસો જેવા વૈકલ્પિક ઉપાયો અજમાવી રહ્યા છે.
હવે આ કામગીરીનો વધુ નિર્ણાયક અને જટિલ તબક્કો શરુ થઈ રહ્યો છે. સોમવારથી રોજની ૩૧૬ જેટલી ટ્રેનો રદ થશે .વેસ્ટર્ન રેલવે દ્વારા દોડાવાતી ૨૩ ટકા લોકલ ટ્રેનો બંધ રહેવાની છે. મતલબકે દર ચારમાંથી એક ટ્રેન નહીં દોડે. તેના કારણે પાછલા કેટલાક દિવસોથી સર્જાઈ રહેલી હેરાનગતિમાં વધારે ઉમેરો થવાની સંભાવના છે. આ કામગીરી મોટાભાગે રાત દરમિયાન થવાની છે. આથી મોડી રાતની અને સવારની મોટાભાગની ટ્રેનો પર અસર થઈ શકે છે. એક અંદાજ મુજબ સવારે ૧૦ કે ૧૧ વાગ્યા સુધીની એટલે કે સવારના રશ અવર્સની જ મહત્તમ ટ્રેનો રદ થાય તો વધારે હાલાકી સર્જાશે.
વેસ્ટર્ન રેલવેનાં મહત્વનાં સ્ટેશનોનાં પ્લેટફોર્મ પર ભીડ મેનેજ કરવા માટે વધારાના પોલીસ જવાનો ગોઠવવામાં આવ્યા છે. જોકે, પ્રવાસીઓના ધસારા સામે તમામ વ્યવસ્થાઓ પડી ભાંગી છે. પ્લેટફોર્મ પર , ટ્રેનમાંથી ચઢતી કે ઉતરતી વખતે, પગથિયાં કે પછી એસ્કેલેટર પર પ્રવાસીઓના ટોળાં સામટાં ધસી જતાં હોય તેવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
પશ્ચિમ રેલવેના અધિકારીઓન ાજણાવ્યા અનુસાર છઠ્ઠી લાઈનની કામગીરીની સાથે સાથે ં સિગ્નલિંગ સિસ્ટમને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સાથે અપગ્રેડ કરવામાં આવી રહી છે. ટ્રેનની કામગીરીને સરળ બનાવવા, એલઇડી લાઇટ સાથે સિગ્નલોની કાર્યક્ષમતામાં સુધારો કરવા અને ટેકનિકલ ખામીઓનું ઝડપથી નિવારણ કરવા માટે કરવામાં આવી રહ્યું છે આમ સમગ્ર સિસ્ટમને ફાયદો થશે.