બાંદ્રાથી મરીન ડ્રાઇવ એક કલાક નહીં માત્ર 10 મિનિટ: મુંબઈમાં નોર્થ ચેનલ બ્રિજનું લોકાર્પણ
North Channel Bridge: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ મુંબઈના લોકોને એક નવી ભેટ આપી છે. મુખ્યમંત્રીએ રવિવાર 26 જાન્યુઆરી 2025ના રોજ મુંબઈ કોસ્ટલ રોડને બાંદ્રા-વર્લી સી લિંક સાથે જોડતાં નોર્થ ચેનલ બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સીએમ ફડણવીસે કહ્યું કે, આ બ્રિજ મુંબઈ માટે કનેક્ટિવિટીમાં એક નવા યુગની શરુઆત કરશે.
ઓછા સમયમાં યાત્રા પૂરી થશે
આ ધનુષ આકારનો પુલ 27 જાન્યુઆરી 2025 એટલે કે આજથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાયો છે. આ બ્રિજથી બાંદ્રા-મરીન ડ્રાઇવ વચ્ચેની મુસાફરીનો સમય ઘટીને માત્ર 10 મિનિટ થઈ જશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વર્લી અને હાજી અલીના 4 નવા ઇન્ટરચેન્જ રૂટનું પણ ઉદ્ઘાટન કર્યું છે. તમને જણાવી દઈએ કે, નોર્થ ચેનલ બ્રિજનું ઉદ્ઘાટન મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ(MCRP)ના પ્રથમ તબક્કાને આગળ વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ બની ગયું છે, જેનું ઉદ્ઘાટન ગત વર્ષે માર્ચ 2024માં થયું હતું.
મુસાફરીને કેવી રીતે બનાવશે સરળ?
પહેલા આ બ્રિજ ઉત્તર તરફ જતા ટ્રાફિક માટે આંશિક રીતે ખુલ્લો હતો. હવે આનાથી સી લિંક વાળા રસ્તા દ્વારા સાઉથ તરફ જતો ટ્રાફિક કોસ્ટલ રોડ પર જઈ શકશે. આનાથી મરીન ડ્રાઇવ અને બાંદ્રા વચ્ચેની મુસાફરીનો સમય ઘટીને માત્ર 10 મિનિટનો જ થઈ જશે. પહેલા આ મુસાફરીમાં પૂરો એક કલાક લાગતો હતો. નોર્થ ચેનલ બ્રિજ દરરોજ સવારે 7:00થી 12:00 વાગ્યા સુધી ચાલુ રહેશે. બીજી તરફ વર્લી અને હાજી અલીમાં 4 નવા ઇન્ટરચેન્જ રૂટ વાહનોને મુખ્ય જંકશન તરફ જવામાં મદદ કરશે.
પુલની ખાસિયત
ધનુષના આકારમાં બનેલો આ પુલ 143 મીટર લાંબો, 24 મીટર પહોળો અને 31 મીટર ઊંચો છે. તેનું વજન લગભગ 1,400 મેટ્રિક ટન જેટલું છે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ નરીમાન પોઇન્ટથી દહીંસર સુધી વિસ્તરેલો છે. તેનો ઉદ્દેશ્ય દક્ષિણ મુંબઈ અને ઉત્તરીય ઉપનગરો વચ્ચે ટ્રાફિકમાં સુધારો કરવાનો છે.