ડ્રગના વેપાર માટેની બેઠકમાં હાજરી માત્રથી મમતા કુલકર્ણી ગુનેગાર ન ઠરે

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
ડ્રગના વેપાર માટેની બેઠકમાં હાજરી માત્રથી મમતા કુલકર્ણી ગુનેગાર ન ઠરે 1 - image


મમતા સામેના  આરોપો 'ક્ષુલ્લક' વ્યર્થ અને ત્રાસદાયકઃ હાઈકોર્ટ

મમતા સામે કેસ ચાલુ રાખવો તે કોર્ટની પ્રક્રિયાનો દુરુપયોગઃ નિર્દોષ ઠેરવતા ચુકાદાની વિગતો હવે  પ્રગટ કરાઈઃ 

મુંબઇ -  ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણી સામેનો ડ્રગ્સ કેસ બોમ્બે હાઇકોર્ટે ફગાવી દીધો છે. નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એકટની વિવિધ જોગવાઇઓ હેઠળ થાણે પોલીસે વર્ષ ૨૦૧૬માં મમતા કુલકર્ણી સામે એફઆઇઆર કરી હતી. એફઆઇઆર રદ કરવા કુલકર્ણીએ અરજી કરી હતી. ડ્રગના વેપાર માટે થયેલી બેઠકમાં મમતા કુલકર્ણી હાજર હતી તેટલા માત્રથી તે આ ગુનામાં સંડોવાયેલી હોવાનું ગણી શકાય નહિ એમ અદાલતે જણાવ્યું હતું. 

 બોમ્બે હાઇકોર્ટની જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ મંજૂષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે ૨૨મી જુલાઇએ ચૂકાદો આપ્યો હતો જેની નકલ બુધવારે ૭મી ઓગસ્ટે મળી હતી. ડિવિઝન બેન્ચે કહ્યું હતું કે કુલકર્ણી સામે જે પુરાવાઓ ભેગા કરાયા છે તેમાં પ્રથમદર્શી ગુનો બનતો નથી. બેન્ચે પોતાના  ચૂકાદામાં કહ્યું કે અરજદાર (કુલકર્ણી) સામે અદાલતી કાર્યવાહી ચાલુ રાખવી. કોર્ટની પ્રક્રિયાના દુરુપયોગ સમાન છે તેવું અમારું માનવું છે.

અરજદાર સામેના આરોપો સ્પષ્ટ રીત ે ક્ષુલ્લક, વ્યર્થ અને ત્રાસદાયક છે આથી એફઆઇઆર રદ કરવાની સત્તાનો ઉપયોગ કરવાનો આ યોગ્ય કેસ છે તેવું કોર્ટે કહ્યું હતું. એફઆઇઆર રદ કરવાની અરજીમાં કુલકર્ણીએ દાવો કર્યો હતો કે તેને કેસમાં સંડોવવામાં આવી છે અને તે કેસના એક સહઆરોપી વિકી ગોસ્વામીની પરિચિત હતી. એપ્રિલ ૨૦૧૬માં પોલીસે નાર્કોટિક પદાર્થ ઇફેડ્રિનનો એક કિલોગ્રામ જથ્થો કથિત રીતે રાખવા બે વ્યક્તિની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસ પછી કુલકર્ણી સહિત ૧૦ વધી વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

નાર્કોટિક પદાર્થોના ખરીદ વેચાણ માટે કાવતરું ઘડવા કેન્યાની એક હોટેલમાં બેઠક મળી હતી તેમાં કુલકર્ણી, વિકી ગોસ્વામી સહિતના અન્ય આરોપીઓ હાજર રહ્યા હતા. સાક્ષીઓના નિવેદનો અને ચાર્જશીટમાં રજૂ કરાયેલા અન્ય પુરાવાઓનો બેન્ચે અભ્યાસ કર્યો હતો. કેન્યાની હોટેલના ડાઇનિંગ હોલમાં કથિત બેઠક મળી હતી. અને જમવાના ટેબલની બાજુના સોફા પર મતતા કુલકર્ણી બેઠી હતી તેવું હાઇકોર્ટે કહ્યું હતું.

બેન્ચે કહ્યું કે ચાર્જશીટમાં રજૂ કરેલી અન્ય બાબતોને સ્વીકારવામાં આવે તો પણ અરજદાર (કુલકર્ણી)ની ફક્ત હાજરી ગુનો કર્યો છે તેવું કહેવા પર્યાપ્ત નથી તેવું બેન્ચે કહ્યું હતું.



Google NewsGoogle News