મહારાષ્ટ્ર: નાંદેડ બાદ હવે સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 8 દર્દીઓના મોત
Image Source: Twitter
- નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકમાં 31 દર્દીઓના મોત
ઔરંગાબાદ, તા. 03 ઓક્ટોબર 2023, મંગળવાર
મહારાષ્ટ્રના નાંદેડ બાદ હવે સંભાજી નગર (પૂર્વમાં ઔરંગાબાદ)ની સરકારી હોસ્પિટલમાં દર્દીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 8 દર્દીઓના મોત થઈ ગયા છે. મૃતકોમાં બે નવજાત બાળકો પણ સામેલ છે.
શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ સરકારી હોસ્પિટલમાં થયેલા આ મોત અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, નાંદેડ બાદ હવે સંભાજી નગરની હોસ્પિટલમાં 8 દર્દીઓના મોત થઈ ગયા છે. જેમાં બે બાળકો પણ સામેલ છે. નાંદેડમાં વધુ 7 દર્દીઓના મોત થઈ ગયા છે. તેમણે કહ્યું કે, બીજેપી સરકારના કારણે રાજ્યની આરોગ્ય વ્યવસ્થા કથળી ગઈ છે. તેમણે કહ્યું કે, તેમને મહારાષ્ટ્રમાં સત્તામાં રહીને સરકાર ચલાવવાની જરૂર નથી.
આ અગાઉ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકમાં 31 દર્દીઓના મોત થઈ ગયા છે.સોમવારે રાત્રે અહીં 24 કલાક દરમિયાન 12 નવજાત સહિત 24 દર્દીઓના મોત થઈ ગયા હતા. ત્યારબાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યુ હતું અને હોસ્પિટલની સ્થિતિનો તાગ મેળવવા માટે એક્સપર્ટસની ટીમ મોકલવામાં આવી હતી. જોકે, આ વચ્ચે આગામી 12 કલાકમાં 4 બાળકો સહિત વધુ 7 દર્દીઓના મોત થઈ ગયા હતા.