સેશન્સ કોર્ટના મઝગાંવ સ્થળાંતરના વિરોધમાં વકીલોના ફરી રીલે ઉપવાસ

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
સેશન્સ કોર્ટના મઝગાંવ સ્થળાંતરના વિરોધમાં વકીલોના ફરી રીલે ઉપવાસ 1 - image


અન્યત્ર ભાડે ચાલતી  ટ્રિબ્યૂનલોને મઝગાંવ ખસેડવા માગણી

પ્રિન્સિપલ જજ  કે  ગાર્ડિયન જજનો  પ્રતિસાદ નહીં મળતાં આંદોલનઃ 5મી જાન્યુએ એસોસિએશનની  અસાધારણ સામાન્ય સભા

મુંબઈ : સિટી  સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના બાર એસોસિયેશનના સભ્યોએ મંગળવારથી ફરી હડતાળ શરૃ કરવાનો નિર્ણય  કર્યો છે.  ફોર્ટમાંથી અમુક કોર્ટ મઝગાંવ ખસેડવાના નિર્ણય વિરુદ્ધ તેમણે આ પગલું ઉઠાવ્યું છે. આ મુદ્દે પ્રશાસન સાથેની વાતચીત નિષ્ફળ જતાં એસોસિયેશને હવે આ મુદ્દો ઉચ્ચ સ્તરે માંડવાનું નક્કી કર્યું છે અને સભ્યોને એકજૂટ થઈને કામનો બહિષ્કાર કરવાની વિનંતી કરી છે.

એસોસિયેશને પાંચ જાન્યુઆરીએ મુખ્ય બ્રાન્ચના કોર્ટ રૃમમાં એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ બોડી મીટિંગ બોલાવી છે. મીટિંગમાં પ્રિન્સિપલ જજ દ્વારા સત્તાના દુરુપયોગ અને બોમ્બે સિટી સિવિલ કોર્ટ એન્ડ સેશન્સ કોર્ટમાંથી પ્રિન્સિપલ જજની પ્રસ્તાવિત બદલી પર ચર્ચા કરવામાં આવશેે. ભૂખહડતાળ, આમરણ ઉપવાસ અથવા કામનો સદંતર બહિષ્કાર કરવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. 

કાલાઘોડા ખાતે આવેલી સેશન્સ કોર્ટની આઠ કોર્ટને મઝગાંવમાં બંધાયેલી નવી ઈમારતમાં ખસેેડવામાં આવી છે. આ કોર્ટ કમર્શિયલ કેસો અને મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા સામેની અરજીઓ સાંભળશે. આ નિર્ણય સેશન્સ કોર્ટ પર ભારણ ઓછું કરવા લેવાયો હોવા છતાં આને લીધે વકિલોને હાડમારી વધી જશે. આથી વકિલોએ ૨૧ ડિસેમ્બરે સાંકળી ઉપવાસ શરૃ કર્યા હતા. બે દિવસ ભૂખ હડતાળ કર્યા બાદ સંગઠને જણાવ્યું હતું કે જો અમારી રજૂઆત પર સકારાત્મક નિર્ણય આવશે નહીં તો તેઓ ફરી હડતાળ પર ઉતરશે.

સોમવારે સંગઠને પ્રિન્સિપલ સેશન્સ જજ અને વહીવટી કમિટીના સભ્યો અન્ય સભ્યો સાથે બેઠક કરી હતી. વાટાઘાટ નિષ્ફળ જતાંમંગળવારથી ફરી હડતાળ શરૃ કરી છે. હાઈ કોર્ટના ગાર્ડિયન જજો કે માનનીય પ્રિન્સિપલ જજ પાસેથી અમને કોઈ જવાબ મળ્યો નહોવાથી અમે ફરી હડતાળ કરીશું અને અમારી પાસે વિકલ્પ નથી, એમ બોમ્બે  સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પ્રમુખ અડેવોકેટ રવિ પ્રકાશ જાધવે જણાવ્યું હતું. 

 મુખ્ય પ્રધાન અને નાય મુખ્ય પ્રધાન તેમ જ લો એન્ડ જ્યુડિશ્યરી મંત્રાલયની મધ્યસ્થીની દાદ મગાઈ રહી છે. એસોસિયેશનના સભ્ય અટલ બિહારી દુબેએ જણાવ્યંુ હતું કે અનેક ટ્રિબ્યુનલો હાલ શેહરના વિવિધ સ્થળે ભાડાની જગ્યા પર ચલાવાઈ રહી છે. તેના ભાડા પાછળ નાણાનો વ્યય કરવાને બદલે એ ટ્રિબ્યુનલોને મઝગાંવ ઈમારતમાં ખસેડવી જોઈએ. મઝગાંવમાં અમુક કોર્ટ અને ફોર્ટમાં અમુક કોર્ટ રાખવાથી વકિલો અને અસીલોનો ટ્રાન્સપોર્ટનો મોટો પ્રોબ્લોમ થશે.


Google NewsGoogle News