જાવેદ અખ્તરના કેસ પર સ્ટે ઈચ્છતી કંગનાની અરજી હાઈ કોર્ટે ફગાવી

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
જાવેદ અખ્તરના કેસ પર સ્ટે ઈચ્છતી કંગનાની અરજી હાઈ કોર્ટે ફગાવી 1 - image


બદનક્ષી કેસમાં ગીતકાર અને અભિનેત્રી વચ્ચે કાનૂની જંગ

કેસમાં  સુનાવણી ચાલુ થઈ ચૂકી હોવાથી કંગનાની અરજી સ્વીકારવા કોર્ટનો ઈનકારઃ વિલંબ સર્જવા અરજી થઈ હોવાની દલીલ અખ્તરે કરી હતી

મુંબઈ :  અભિનેત્રી કંગના રનૌતે  પોતાની સામે બદનક્ષીનો આરોપ કરીને ગીતકાર જાવેદ અખ્તરે  કરેલા કેસ પર સ્ટે માગતી    અરજી હાઈ કોર્ટના ન્યા. પી ડી. નાઈકે શુક્રવારે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ કરી હતી કે અખ્તરના કેસમાં સુનાવણી શરૃ થઈ ચૂકી છે અને રનૌતે માગેલી રાહત આ તબક્કે આપી શકાય નહીં.આ અરજી કેસને વિલંબમાં મૂકવાના ઈરાદે કરી હોવાનું ગીતકાર જાવેદ અખ્તરે અગાઉ જવાબમાં જણાવ્યંુ હતું.

અખ્તરે સોગંદનામું નોંધાવીને કંગનાની અરજીનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે રનૌત પાસે હાઈ કોર્ટના અધિકારક્ષેત્રને લાગુ કરવાનો કોઈ આધાર નથી. અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ચાલી રહેલી સુનાવણીને વિલંબમાં મૂકવા અરજી કરાઈ હોવનો દાવો કર્યો હતો. કંગનાએ કોર્ટે આપેલા આદેશને જ પડકાર્યો નથી પણ આખી અરજી કલ્પના અને ધારણાને આધારે કરી છે . અરજીમાં કરાયેલી વિનંતી ટકી શકે તેમ નથી અને અસ્પષ્ટ છે.

ટીવી પરની મુલાકાત દરમ્યાન કરેલી ટિપ્પણી સામે વાંધો ઉઠાવીને અખ્તરે રનૌત સામે ફરિયાદ કરી હતી. ૨૦૧૬માં અખ્તર સાથે કંગનાની મુલાકાત વિશે આ ટિપ્પણી હતી.દરમ્યાન રનૌતે પણ અખ્તર સામે ફોજદારી કાવતરું,ખંડણી અને ગુપ્તતાનો ભંગ કરીને વિનયભંગ કરવાનો આરોપ કર્યો હતો.

૨૪ જુલાઈ ૨૦૨૩ના રોજ અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે અખ્તર સામેના ખંડણીના આરોપ પડતા મૂક્યા હતા અને તેમને કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતુંં. અખ્તરે સમન્સને સેશન્સ કોર્ટમાં પડકાર્યા હતા.સેશન્સ કોર્ટે અપીલની સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેસની કાર્યવાહી પર સ્ટે આપ્યો હતો.

હવે કંગનાએ હાઈ કોર્ટમાં અખ્તરની ફરિયાદ પરથી થયેલા કેસ પર પણ સ્ટે માગતી અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું છે કે બંની ફરિયાદો એક જ ઘટનામાંથી ઉદ્ભવી છે અને આથી બંને કેસ સાથે ચલાવા જોઈએ જેથી વિરોધાભાસી ચુકાદા આવે નહીં.

પોતાની ફરિયાદ પરના કેસ પર સ્ટે અપાયો છે અને અખ્તરની ફરિયાદ પરનો કેસ ચાલુ છે જે અન્યાયકારી અને કુદરતી ન્યાય વિરોધી છે. વિવાદની સચ્ચાઈ બહાર લાવવાનો રનૌતનો કેસ છે અખ્તરની નહીં. અખ્તરની અપીલ પર નિર્ણય આવે ત્યાં સુધી તેમનો કેસ પણ ચાલવો જોઈએ, એવી રજૂઆત કંગના વતી કરવામાં આવી હતી.



Google NewsGoogle News