કાંદિવલીની ગુજરાતી શાળા દ્વારા ક્લોઝર નોટિસને હાઈકોર્ટમાં પડકાર
- અઆરટીઈ હેઠળ માન્યતા નહીં હોવાથી તંત્રની નોટિસ
- ભાષાકીય લઘુમતીની શાળા હોવાથી આરટીઈ હેઠળની માન્યતાની જોગવાઈ બંધનકર્તા નથી તેવી દલીલ
મુંબઈ : છ કાંદિવલીની ખાનગી ગુજરાતી લઘુમતી સ્કૂલને બંધ કરવાના અને વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલોમાં ખસેડવાના એજ્યુકેશન ઓથોરિટીએ આપેલા નિર્દેશને સ્કૂલે બોમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યો છે.આઈસીએસઈ બોર્ડ ઈન્સ્ટિટયૂટ કપોળ વિદ્યાનિધિ ઈન્ટરનેશનલ સ્કૂલને બંધ કરવાનું અધિકારીઓએ જણાવ્યું હતું કેમ કે તેણે રાઈટ ટુ એજ્યુકેશન (આરટીઈ) કાયદા હેઠળ માન્યતા મેળવી નથી. જોકે સ્કૂલ અને તેના મેનેજિંગ ટ્રસ્ટીએ અરજીમાં દાવો કર્યો છે કે તેઓ ભાષાકીય લઘુમતી સંસ્થા હોવાથી આરટીઈ હેઠળની માન્યતા મેળવવાનું તેમને બંધનકર્તા નથી.
જાન્યુઆરીમાં એજ્યુકેશન ઈન્સ્પેક્ટર (ઈઆઈ-મુંબઈ વેસ્ટ ઝોન)એ સ્કૂલ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સ્કૂલ ચાલુ રહેતાં ઈઆઈએ જૂનમાં ડેપ્યુટી ઈઆઈને પત્ર લખીને વિદ્યાર્થીઓને નજીકની ન્ય સ્કૂલોમાં ખસેડવાનું કહેતો પત્ર મોકલ્યો હતો.
આરટીઈ કાયદા હેઠળ તમામ ખાનગી સંચાલિત સ્કૂલોને શિક્ષકો, સ્કૂલની ઈમારત,શૈક્ષણિક કલાકો, લાઈબ્રેરી અને ઉપકરણો સંબંધી વિવિધ નિયમોનું પાલન કરીને માન્યતાનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી હોય છે. કાયદો લાગુ કરવા માટેના રાજ્યના ૨૦૧૧ના નિયમોમાં સ્કૂલે સેલ્ફ ડિક્લેરેશન કમ એપ્લિકેશન (ફોર્મ૧) ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ઓફિસરને સુપરત કરવાનું હોય છે. માન્યતા વિના સ્કૂલચાલતી હોય તો કાયદા અનુસાર રૂ. એક લાખનો દડ તથા દિવસના રૂ. ૧૦ હજારનો દંડ લાદવામાં આવે છે. દર ત્રણ વર્ષે સ્કૂલે માન્યતા રિન્યુ કરવાની હોય છે.
અરજીમાં સ્કૂલે દાવો કર્યો છે કે તેમણે પાલિકાના એજ્યુકેશન ઓફિસર રાજ્ય સરકાર તેમ જ સીઆઈએસસીઈ પાસેથી જરૂરી એનઓસી મેળવ્યું છે. જોકે માન્યતાનું પ્રમાણપત્ર મેળવ્યું નથી કેમ કે તેમને એવી જાણ છે કે આરટીઈ કાયદાની જોગવાઈમાંથી લુઘુમતી સંસ્થા તરીકે બાકાત છે.એજ્યુકેશન ઓથોરિટીએ સ્કૂલને પોતાની બાજુ રજૂ કરવાની તક આપ્યા વિના પગલાં ચાલુ કર્યા છે. અરજીમાં ઓથોરિટીને નોટિસ રદ કરીને સ્કૂલ સામે આકરા પગલાં લેવાથી અટકાવવાની વિનંતી કરી છે.