3 લાખની હીરાજડિત સોનાની બે બંગડી માટે થઈ જ્યોતિબેન શાહની હત્યા
હત્યા કરી બિહાર ભાગતો નોકર ભૂસાવળથી ઝડપાયો
4 માસ પહેલાં જ મુંબઈ આવેલા 19 વર્ષના કનૈયા કુમારને બાજુની બિલ્ડિંગમાં કામ કરતા પિતાએ બે દિવસ પહેલાં જવેલર્સને ત્યાં નોકરીએ રખાવ્યો હતો
મુંબઈ વિશે ઝાઝી ખબર ન હોવાથી વતન ભાગ્યો, પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ભુસાવળ સ્ટેશને ટ્રેનમાંથી પકડી લીધોઃ ૧૯મી સુધીના રિમાન્ડ
મુંબઇ : નેપિયન્સી રોડ પર માલિકનો વિશ્વાસઘાત કરી જ્વેલરી શોરૃમના માલિક મુકેશ શાહના પત્ની જ્યોતબેન શાહની હત્યા કરનારા ફરાર નોકરને પોલીસે ભુસાવળમાં ઝડપી લીધો હતો. તેણે હત્યા બાદ રૃ. ત્રણ લાખની કિંમતની હિરાજડિત સોનાની બંગડીઓ લઈ પોતાના મૂળ વતન બિહારમાં નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીને પકડીને મુંબઈ લાવવામાં આવેલો પોલીસે તેને કોર્ટમાં હાજર કર્યો હતો કોર્ટે તેને ૧૯ માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.
મુંબઈમાં ઘરમાં એકલા હોય ત્યારે સિનિયેર સિટિઝનની હત્યા કરવાની અગાઉ અનેક ઘટના બની છે. ઘરકામ માટે નોકર રાખતા પહેલા માહિતી આપવાની પોલીસે ફરી અપીલ કરી છે.
નેપિયન્સી રોડ પર તાહની હાઇટ્સ બિલ્ડિંગમાં જ્વેલર મુકેશ ગુલાબચંદ શાહ (ઉં. વ. ૬૭) તેમની પત્ની જ્યોતિબેન (ઉં. વ. ૬૭), પુત્રી સાથે રહેતા હતા. જ્વેલરી શોરૃમના માલિક મુકેશ શાહના પરિવારે સોમવારે જ કન્હૈયાકુમાર સંજય પંડિતને ઘરકામ માટે રાખ્યો હતો, પરંતુ કન્હૈયાકુમારનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું નહોતું.
ગત સોમવારે બપોરે જ્યોતિબેન ઘરમાં એકલા હતા ત્યારે નોકરે તેમની ગળું દબાવીને હત્યા કરી હતી. તે મૃતકે પહેરેલી હિરાજડિત સોનાની બે બંગડી લઈ નાસી ગયો હતો. પણ આરોપી સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હતો.
પોલીસે મોબાઇલ ફોન રેકોર્ડ અને અન્ય માહિતીના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી જળગાવના ભુસાવળમાંથી આરોપી કન્હેયાકુમારની ધરપકડ કરી હતી. જળગાંવ પોલીસ, ભુસાવળ રેલવે પોલીસની મદદથી આરોપી પકડાયો હતો.
મૂળ બિહારના સિતામઢીના કરુના ગામમાં રહેતા કન્હૈયાકુમારના પિતા મુકેશ શાહની બાજુની બિલ્ડિંગમાં કામ કરતા હતા. ૧૯ વર્ષીય કન્હૈયાકુમાર ત્રણથી ચાર મહિના પહેલા જ મુંબઈ આવ્યો હતો. તેણે ૧૨મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. અને નોકરની શોધખોળ કરતો હતો.
છેવટે તેને મુકેશ શાહના ફ્લેટમાં ઘરકામ નોકરી મળી હતી. ગત મંગળવારે બપોરે ૧.૩૦ વાગ્યે મુકેશ શાહ અને તેમની પુત્રી કામ માટે બહાર ગયા હતા. તેમણે બપોરે પુત્રી અને પતિએ ફોન કર્યા હતા. પણ તેમણે કોલનો જવાબ આપ્યો નહોતો. પુત્રીએ રસોઈયાને ફોન કર્યો હતો. રસોઈયાએ કહ્યું કે તે ઘરે ગયો હતો, પણ જ્યોતિબેને દરવાજો ખોલ્યો નહોતો.
છેવટે પતિ મુકેશભાઈ ઘરે આવ્યા હતા ત્યારે પત્ની મૃતઅવસ્થામાં મળી આવ્યા હતા.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ કરતા જ્યોતિબેનની ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું માલૂમ પડયું હતું. આ બનાવ બાદ નોકર કન્હૈયાકુમાર ગાયબ હતો.
આ પ્રોફાઇલ કેસ ઉકેલવા પોલીસની ૧૫ ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે આરોપીના પિતા, મિત્ર, સંબંધી બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડ અને અન્યની પૂછપરછ કરી હતી.
આરોપીને મુંબઈની વધારે જાણ નહોતી. આથી તે પોતાના ગામમાં નાસી ગયો હોવાની શંકા હતી. પોલીસે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડની તપાસ કરી હતી.
નોકરે પોતાનું સીમ કાર્ડ બદલી નાખ્યું હતું. પરંતુ પોલીસે આઇએમઆઇ નંબરથી તેને ટ્રેક કરવાનું શરૃ કર્યું હતું. દરમિયાન તે બિહાર જતી ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હોવાની ખબર પડી હતી. ભુસાવળ ખાતે પોલીસને આરોપીની માહિતી આપી તેને પી લેવામાં આવ્યો હતો.