'આઇએનએસ સુરત' દ્વારા સરફેસ ટૂ એર ટાર્ગેટનું સફળ પરીક્ષણ
સ્વદેશમાં નિર્મિત આધુનિક મિસાઇલ ડિસ્ટ્રોયર
પાક નેવી મિસાઇલ પરીક્ષણનું વિચારે એ પહેલાં ભારતીય નૌસેનાએ તાકાત દેખાડી
મુંબઈ - સ્વદેશમાં નિર્મિત 'આઇએનએસ સુરત' દ્વારા અરબી સમુદ્રની સપાટીથી હવામાં ઝડપથી ઉડતા ટાર્ગેટને વિંધવાની કાબેલિયત સિદ્ધ કરવામાં આવી હતી. પહલગામમાં પાક તરફથી આતંકવાદીઓએ ખોફનાક હુમલો કર્યો તેનો બદલે લેવા હિન્દુસ્તાને ત્રાડ પાડતાં પાકિસ્તાન થરથર કાંપી ઉઠયું છે. સૈન્ય-તૈયારીમાં લાગી ગયેલા પાકિસ્તાનની નૌસેના હજી તો મિસાઇલ પરિક્ષણનું વિચારે એ પહેલાં તો ભારતીય નેવીની ડિસ્ટ્રોયરે સેમ (સરફેસ ટુ એર) મિસાઇલથી લક્ષ્યને વિંધવાનું સફળ પરિક્ષણ પાર પાડયું હતું.
મુંબઈના મઝગાંવ ડોકમા ં બંધાયેલું આઇએનએસ સુરત નોકાદળનું સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલથી સજ્જ ડિસ્ટ્રોયર શિપ છે. ચાર મહિના પહેલાં જ નેવીના કાફલામાં સામેલ કરવામાં આવેલું આ યુદ્ધ જહાજ સાગરી સીમા પર દુશ્મનદેશના કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે અત્યાધુનિક ટેક્નિક અને મિસાઇલોથી સજ્જ છે
. આ વિનાશિકા સરફેસ-ટુ-એર (સેમ) મિસાઇલ, બ્રહ્મોસ એન્ટિ-શિપ મિસાઇલ, દુશ્મનની સબમરીનને તોડી પાડવા ટોરપીડો ટયુબ, વિવિધ પ્રકારની ગન અને તોપથી સજ્જ છે.
ભારતીય નૌકાદળના વિશાખાપટ્ટનમ શ્રેણીના આ ચોથા જહાજનું નામ પહેલાં પોરબંદર રાખવાનુ ં વિચાર્યું હતું. પરંતુ ત્યાર પછી 'સુરત' નામકરણ કરવામાં આવ્યું હતું.