મુંબઇમાં સમુદ્ર, કૃત્રિમ તળાવમાં 40 હજાર ગણેશમૂર્તિઓનું વિસર્જન
ગણપતિ બપ્પા મોરયા અગલે બરસ તું જલ્દી આ...ના ગગનભેદી નાદ સાથે
લાલબાગ ચા રાજાની મૂર્તિનું ગિરગામ ચોપાટીમાં બાવીસ કલાકે વિસર્જન
મુંબઇ : મુંબઇમાં અનંત ચતુર્દશીના ભક્તોનો સાગર ઉમટયો હતો શહેરમાં વિવિધ સ્થળે ગઇકાલથી આજે બપોર સુધીમાં દરિયા, કૃત્રિમ તળાવોમાં ૩૯ હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
૧૯ સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના શરૃ થયેલો ઉત્સવ ૨૮ સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના રોજ પૂરો થયો હતો.
ઢોલ-નગાર અને ગણપતિ બાપ્પા મોર્યાના નાદ વચ્ચે જુદા જુદા ગણેશ મંડપોએ વિસર્જન માટે શોભાયાત્રા શરૃ કરી હતી. સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ભારે ઉલ્હાસભેર ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં ગુરુવારે શરૃ થયેલી વિસર્જન યાત્રા બીજા દિવસે શુક્રવારે બપોરે પૂરી થઇ હતી. બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા સ્થાપિત કૃત્રિમ તળાવે સહિત અસબી સમુદ્ર અને અન્ય જળાશયોમાં ગણપતિની લગભગ ૪૦ હજાર મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મુંબઇના પ્રખ્યાત લાલબાગચા ગાજાની મૂર્તિની શોભાયાત્રા ગુરુવારે સવારે ૧૧.૩૦ વાગ્યે શરૃ થઇ હતી. એમાં લાખો લોકો જોડાયા હતા. ગિરગામ ચોપાટીમાં શુક્રવારે સવારે ૯.૧૫ વાગ્યે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
શુક્રવાર બપોરે સુધીમાં કુલ ૩૯,૫૭૮ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એમાં ૩૨,૩૪૫ ઘરગથ્થુ ગણપતિ, ૬૯૫૧ સાર્વજનિક ગણપતિ અને ૪૬૨ ગૌરી માતાની મૂર્તિઓ હતી. કુલ મૂર્તિઓમાંથી પાલિકા દ્વારા બનાવવામાં આવેલી કૃત્રિમ તળાવમાં ૧૧,૧૦૭ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. એમાંથી ૧૦,૨૦૭ ઘરગથ્થુ, ૭૪૦ સાર્વજનિક, ૧૬૦ ગૌરી માતાની મૂર્તિઓનો સમાવેશ હતો.
મુંબઇમાં શોભાયાત્રા દરમિયાન ભારે ભીડને ધ્યાનમાં રાખીને કોઇપણ અપ્રિય ઘટના ન બને માટે શહેરમાં ૧૯ હજારથી વધુ પોલીસકર્મીનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિસર્જન સરઘસ પર નજર રાખવા અલગ-અલગ કંન્ટ્રોલરૃમની સ્થાપના કરવામાં આવી હતી.
બીએમસીએ ૧,૩૩૭ લાઇફ ગાર્ડ્સ તૈનાત કર્યા હતા. ૫૩ મોટર બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ૨૪૨ વૉચ ટાવર રાખવામાં આવ્યા હતા.