દુઃખના પ્રસંગમાં પેરોલ અપાય છે તો ખુશીના પ્રસંગમાં કેમ નહીં : હાઈકોર્ટ

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
દુઃખના પ્રસંગમાં પેરોલ અપાય છે તો ખુશીના પ્રસંગમાં કેમ નહીં : હાઈકોર્ટ 1 - image


પેરોલ કે ફર્લોનો ઉદ્દેશ્ય કેદીને તેની પારિવારિક જિંદગી સાથે સંપર્કમાં રાખવા તથા પરિવારના પ્રશ્નો હાથ ધરી શકે તે છે

મુંબઈ: દુઃખી પ્રસંગમાં પેરોલ આપી શકાતા હોય તો ખુશીના પ્રસંગમાં કેમ ન આપી શકાય એવી નોંધ કરીને બોમ્બે હાઈ કોર્ટે ઓસ્ટ્રેલિયા વધુ અભ્યાસ કરવા જઈ રહેલા પુત્રને વિદાય આપવા કસૂરવારને પેરોલ મંજૂર કર્યા હતા.

કોર્ટે જણાવ્યું હતું કે જેલમાં હોય ત્યારે આરોપીને તેમના પિરવારની બાબતોની વ્યવસ્થા કરવા અને કસૂરવારને બહારના વિશ્વવના સંપર્કમાં રહેવા થોડો સમય માટે શરતી મુક્તિ આપવામાં આવે છે. કસૂરવાર પણ કોઈકનો પુત્ર, પતિ અથવા ભાઈ છે.

ન્યા. ભારતી ડાંગરે અને ન્યા. દેશપાંડેએ નવ જુલાઈના આદેશમાં જણાવ્યું હતું કે પેરોલ અને ફર્લોની જોગવાઈઓને સમયાંતરે માનવીય અભિગમ તરીકે જોવામાં આવે છે. 

સરકારી પક્ષે દાવો કર્યો હતો કે પેરોલ સામાન્ય રીતે તાકીદની સ્થિતિમાં અપાય છે. શિક્ષણ માટે પૈસાની વ્યવસ્થા કરવા અને પુત્રને વિદાય આપવા માટે પેરોલ અપાતા નથી. કોર્ટને જોકે આ દલીલ ગળે ઉતરી નહોતી. 

દુઃખની વાત લાગણી હોય તો ખુશી પણ એક જાતની લાગણી છે અને જો દુ ઃખ વહેંચવા પેરોલ અપાતું હોય તો ખુશીના પ્રસંગ માટે કેમ નહીં, એમ હાઈ કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે શ્રીવાસ્તવને દસ દિવસના પેરોલ આપ્યા હતા. શ્રીનિવાસ ૨૦૧૨માં હત્યાના કેસમાં કસૂરવાર ઠર્યો હતો અને જન્મટીપ ભોગવી રહ્યો છે.૨૦૧૮માં કસૂરવાર ઠેરવ્યો હતો અને ૨૦૧૯માં સજા સામે અપીલ કરી હતી.

અરજી અનુસાર તેના પુત્રને ઓસ્ટ્રેલિયામાં કોર્સ કરવા પસંદ કરાયો છે અને તેની ફી રૂ.૩૬ લાખ છે. આ રકમની વ્યવસ્થા કરવા એક મહિનાના પેરોલ માગ્યા હતા.

પેરોલ કે ફર્લો આપવાનો ઉદ્દેશ્ય કસૂરવારે તેની પારિવારિક જિંદગી સાથે સંપર્ક જાળવી શકે અને પરિવારના પ્રશ્નો ઉકેલી શકે તેનો છે. જેલની જિંગનીની આડઅસરથી બચાવવા અને જીવનમાં સક્રિય રસ ઊભો કરીને માનસિક સંતુલન જાળવી રાખી શકે તેમ જ ભવિષ્યને લઈને આશાવાદી બની રહે એ છે, એમ હાઈ કોર્ટે જણાવ્યું હતું.

પ્રિઝન રુલ હેઠળ અપાતા લાભનો હાર્દ કસૂરવારને ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ ટકાવી રાખવાનો છે. આ કેસમાં પિતા રકમની વ્યવસ્થા કરી શકશે નહીં ત્યં સુધી તેનો પુત્ર તક ઝડપી શકશે નહીં. પુત્રને પિતાની શુભેચ્છા સાથે વિદાય લેવાનો અધિકાર છે અને આ ક્ષણથી તેને વંચિત રાખી શકાય નહીં જે તેવને પિતા તરીકે ગર્વનો અનુભવ કરાવી શકે છે, એમ કોર્ટે જણાવ્યું હતું.


Google NewsGoogle News