પરિણીતાને સળગાવી દેનારા પતિ, બે નણંદોને જેલવાસ
- થાણે જિલ્લામાં અરેરાટી ભરી ઘટનામાં ચુકાદો
- મોટી બહેને કેરોસિન છાંટયું , નાની બહેને ભાઈને આગ ચાંપવા કહેલું
મુંબઈ : રાજ્યમાં થાણે જિલ્લાની કોર્ટે પત્નીની સતામણી કરીને તેને બાળી નાખવાના કેસમાં પતિ અને બે નણંદોને કસૂરવાર ઠેરવી છે. એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પ્રણયકુમાર મોહન ગુપ્તાએ ત્રણે આરોપીઓને સદોષ મનુષ્યવધ હેઠળ કસૂરવાર જાહેર કર્યા હતા.
કોર્ટે આરોપી નસરુદ્દીન નનુરુદ્દીન ખાન (૨૭) અને તેની મોટી બહેન તાહિરા (૨૯)ને સાત વર્ષની જેલની સજા અને તેની નાની બહેન જરીના શાહરુખ ખાન (૨૫)ને પાંચ વર્ષથી સખત કેદની સજા સંભળાવી હતી. ત્રણે પર રૂ. બે હજારનો દંડ પણ લદાયો છે.
સરકારી વકિલના જણાવ્યા અનુસાર મૃતક અમિનાના લગ્ન નસરુદ્દીન સાથે ૨૦૧૭માં થયા હતા અને તેને પતિ અને નણંદો દ્વારા સતામણી થતી હતી. ૨૯ એપ્રિલ ૨૦૧૮ના ારોજ આરોપીઓએ મૃતક સાથે ઝઘડો કર્યો હતો અને તેને ગાળો ભાંડીને મારપીટ કરી હતી. તાહિરાએ તેના પર કેરોસિન નાખ્યું અને જરીનાએ નસરુદ્દીનને આગ ચાંપવા જણાવ્યું હતું. મૃતકને ગંભીર ઈજા થતાં સારવાર દરમ્યાન ત્રીજી મેના રોજ મોત થયું હતું. સુનાવણી દરમ્યાન દસ સરકારી સાક્ષી તપાસાયા હતા.