જર્જરિત મકાનમાં રહેતા કચ્છી દંપત્તીમાંથી પતિનું મોત
ડોમ્બિવલીમાં હોનારત
એક દિવસ પહેલાં જ મકાન ખાલી કરાવાયું હતું
કલ્યાણ : ડોમ્બિવલીના દત્તનગર પરિસરમાં આજે બપોરે એક ત્રણ માળની ઇમારત તૂટી પડી હતી.આ હોનારતમાં મકાનના રહેવાશી કચ્છી દંપતીમાંથી પતિ સુનિલ લોડાયા (ઉં.વ.૫૫)નું મૃત્યુ થયું હતું અને તેમના પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ ઘટનાની જાણ થતા કલ્યાણ ડોમ્બિવલી મહાનગર પાલિકાના અગ્નિશામક દળના જવાનોએ બચાવ કાર્યવાહી આરંભી હતી.
મળેલી માહિતી પ્રમાણે ડોમ્બિવલીના ન્યુ આયરે રોડ પર આવેલી આદિનારાયણ ઇમારત જોખમી હતી અને ગઈ કાલે સાંજે ઇમારતને તિરાડ પડતાં મહાપાલિકાએ તેને ખાલી કરાવી હતી. આજે બપોરે મુશળધાર વરસાદમાં આ ઇમારત તૂટી પડી હતી. કલ્યાણ ડોમ્બિવલી મહાનગર પાલિકાના અગ્નિશામક દળના જવાનોએ ઘટના સ્થળે દોડી જઈ કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું હતું. આ ઇમારતના કાટમાળ હેઠળથી એક પંચાવન વર્ષીય સુનિલ લોડયાનો મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસ પહેલા મહાપાલિકાએ અગાઉ નોટિસો આપી મોટાભાગની ઇમારત ખાલી કરાવી હતી તેથી મોટી દુર્ઘટના ટળી હોવાનું કહેવાય છે.
આ ઇમારત ગેરકાયદેસર હોઈ પાલિકાએ અગાઉથી જ ખાલી કરાવી દીધી હતી. ફાયર બ્રિગેડ સાથે જ સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ મદદ માટે દોડી આવી હતી. મોડી રાત સુધી આ કામગીરી ચાલી હતી.