પોર્શે કેસઃ જામીનના આદેશને પડકાર્યા વિના રિમાન્ડ કઈ રીતે અપાયા? : હાઈકોર્ટ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
પોર્શે કેસઃ જામીનના આદેશને પડકાર્યા વિના રિમાન્ડ કઈ રીતે અપાયા? :  હાઈકોર્ટ 1 - image


કાર અકસ્માત બાદ સગીર પણ એટલો જ આઘાતમાં

કયા કાયદા હેઠળ જામીનના આદેશને સુધારાયો? સગીરની ફઈએ કરેલી અરજી પર કોર્ટે સવાલોની  ઝડીઃ ચુકાદો 25મી પર અનામત

મુંબઈ :  પુણે પોર્શે કાર અકસ્માતમાં સંડોવાયેલા સગીરને જ્યારે જામીન આપી દીધા છે પણ છતાં તેને કસ્ટડીમાં લઈને નિરીક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યો હોય તો તેને ગોંધી રાખ્યો હોવાનું કહેવાય ?એવો સવાલ બોમ્બે હાઈ કોર્ટે શુક્રવારે કર્યો હતો. ન્યા. ડાંગરે અને ન્યા. દેશપાંડેની બેન્ચે જણાવ્યું હતું કે અકસ્માત દુર્ભાગ્યપૂર્ણ હોવામાં કોઈ બેમત નથી. બે જણે જીવ ગુમાવ્યાછે અને આઘાતજનક ઘટના છે પણ સગીર પણ આઘાતમાં હતો, એમ કોર્ટે જણાવ્યું હતું.

કયા કાયદા હેઠળ સગીરને મળેલી જામીનનો આદેશ સુધારવામાં આવ્યો હતો અને કઈ રીતે તેને ગોંધી રાખવામાં આવ્યો છે? એવો સવાલ કોર્ટે પોલીસને કર્યો હતો.

ગયા મહિને સગીરની ફઈએ અરજી કરીને તેને ગેરકાયદે અટકાયતમાં રાખ્યો હોવાનો દાવો કરીને તાત્કાલિક મુક્ત કરવાની દાદ માગી હતી.

કોર્ટે અરજી પર દલીલ સાંભળતી વખતે નોંધ કરી હતી કે પોલીસે હજી સુધી જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડે આદેશ દ્વારા આપેલા જામીન રદ કરવા માટે ઉપલી કોર્ટમાં અરજી કરી નથી. આને બદલે જામીન આદેશમાં સુધારો કરવાની અરજી ક રવામાં આવી છે, એમ જણાવીને હાઈકોર્ટે ઉમેર્યું હતું કે આ અરજીને આધારે જામીન આદેશ સુધારાયો છે અને સગીરને કસ્ટડીમાં લઈને નિરીક્ષણ ગૃહમાં રખાયો છે.

આ કઈ રીતના રિમાન્ડ છે?  રિમાન્ડ આપવાની શું સત્તા છે? આ કઈ પ્રક્રિયા છે જેમા ંજામીન અપાયા બાદ રિમાન્ડનો આદેશ આપીને તેને કસ્ટડીમાં લેવાયો છે, એમ કોર્ટે સવાલ કર્યા હતા.

સગીરને તેના પરિવારના સભ્યોની દેખભાળ અને નિરીક્ષણ હેઠળથી લઈને નિરીક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યો છે. આ એ વ્યક્તિ છે જેને જામીન અપાવામાં આવ્યા હતા અને હવે તેને નિરીક્ષણ ગૃહમાં રખાયો છે આ ગોંધી રાખવા જેવું નથી? તમારી પાસે શું સત્તા છે એ જાણવા માગીએ છીએ, એમ હાઈ કોર્ટે જણાવ્યું હતું.

જ્યુવેનાઈલ જસ્ટિસ બોર્ડે પણ જવાબદારીપૂર્વક વર્તવાની અપેક્ષા છે. પોલીસે જામીન રદ કરવાની અરજી કેમ ન કરી?કોર્ટે અરજી પરનો આદેશ ૨૫ જૂને આપવામાં આવશે એમ જણાવ્યું હતું. સરકારીવકિલે રજૂઆતમાં જણાવ્યું હતું કે બોર્ડે આપેલો રિમાન્ડ આદેશ યોગ્ય છે અને હસ્તક્ષેપની જરૃર નથી.

૧૯મેના રોજ બોર્ડે સાચો કે ખોટો આદેશ આપ્યો હતો અને લોહીના નમૂના સાથે ચેડાં થયા હતા. દોષિત અધિકારીઓ અને ડોક્ટરો સામે પગલાં જરૃરી હતા અને સમાજને કડક સંદેશ આપવો જરૃરી હતો. માત્ર ૩૦૦ શબ્દનો નિબંધ પુરતો નહોતો, એમ સરકારી વકિલે જણાવ્યું હતું.

સગીરના વકિલે દલીલ કરી હતી કે સગીરના મૂળભૂત અધિકારનો ભંગ થયો છે. જામીન આદેશ અમલમાં હતો ત્યારે તેને કસ્ટડીમાં લઈને તેની અંગત આઝાદી પર તરાપ મરાઈ છે.આ રીતે જામીન આદેશનીસમીક્ષા કરવાનું ક્યાંય કાયદાામાં નથી. તમે ઘડિયાળના કાટાં પાછા વાળી શકો નહી. આવી ગંભીર બાબત એમસીઓસીએ અને આતંકવાદી પ્રવૃત્તિ વિરોધી કાયદામાં પણ નથી થતી તો સગીરના કેસમાં કઈ રીતે થઈ શકે. સગીર હાલ  પચ્ચીસ જૂન સુધી નિરીક્ષણ ગૃહમાં છે.


Google NewsGoogle News