પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ ઈચ્છતી અરજી હાઈકોર્ટે ફગાવી

Updated: Oct 20th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ ઈચ્છતી અરજી હાઈકોર્ટે ફગાવી 1 - image


પડોશી રાષ્ટ્રો માટ દ્વૈષ રાખવો એ જ દેશપ્રેમ નથી

ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમને ભાગ લેવાનું શક્ય બનાવવા બદલ કેન્દ્ર સરકારની  પ્રશંસા કરી

મુંબઈ : પાકિસ્તાની કલાકારો સાથે કોઈ જાતનું કામ,પરફોર્મન્સ કે કોઈ પ્રકારનું સંયોજન કરવા અથવા તેમને કામે રાખવાથી ભારતીય નાગરિકો પર પ્રતિબંધ મૂકવા ઈચ્છતી અરજી બોમ્બેહાઈ કોર્ટે ફગાવી દીધી  છે. હાઈકોર્ટે એવું નિરીક્ષણ કર્યું છે કે પડોશી રાષ્ટ્રો કે વિદેશી વ્યક્તિઓ માટે દ્વૈષ રાખવો એ જ દેશપ્રેમ નથી. 

કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે અરજીમાં કોઈ તથ્ય નથી કેમ કે સાંસ્કૃતિક, એકતા, શાંતિ અને સમન્વયને પ્રોત્સાહન  આપવાને બદલે અધોગામી પગલાં ઈચ્છવામાં આવ્યા છે.જો કોર્ટ આવી અરજીને માન્ય કરશે તો આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુમેળ માટે ભારત સરકારે લીધેલા સકારાત્મક પગલાં પર પાણી ફરી વળશે.

કોર્ટે તાજેતરમાં ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના સહભાગનો પણ ઉલ્લેખ કર્યો હતો.  ભારત સ રકારે લીધેલા સકારાત્મક પગલાંને કારણે જ આ શક્ય બન્યું હોવાનું જજે નોંધ્યું હતું.

સ્વયંઘોષિત સિને વર્કર ફૈઝ અન્વર કુરેશીએ અરજીમાં ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશન (એઆઈસીડબ્લ્યુએ)એ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પાકિસ્તાની કલાકારો પર મૂકેલા પ્રતિબંધનો ઉલ્લેખ કર્યો હતો.

અરજીમાં રાહત નહીં આપવાથી પાકિસ્તાનમાં સાનુકૂળ વાતાવરણ નહીં મેળવનારા ભારતીય કલાકારો સામે પક્ષપાત થયો ગણાશે.

પાકિસ્તાની કલાકારો ભારતમાં વ્યાવસાયિકતકોનો લાભ લેતા રહેશે અને ભારતીય નાગરિકો આવી તકોથી વંચિત રહેશે. કુરેશીનો દેશભક્તિનો વિચાર અસ્થાને છે.એમ કોર્ટે જણાવ્યું હતું.

કોર્ટે જણાવ્યું હતું કે દેશભક્ત થવા માટે કોઈએ વિદેશના લોકો ખાસ કરીને પાડોશી દેશના લોકો પ્રત્યે દ્વેષ  રાખવો જોઈએ નહીં. કલાક, સંગીત, રમત, સંસ્કૃતિ, નૃત્ય અને આવી પ્રવૃત્તિઓ રાષ્ટ્રવાદી, સંસ્કૃતિ અને રાષ્ટ્રથી પર છે અને રાષ્ટ્રો વચ્ચે ખરેખર શાંતિ, એકાત્મતા અને સમન્વય સાધે છે.

કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જે સંગઠનના નિર્ણય પર અરજદારે આધાર રાખ્યો છે એ કાયદેસર સંગઠન નથી.  આવો પ્રતિબંધ લાદવાથી વેપાર અને વ્યવસાય કરવાના ભારતીય નાગરિકના મૂળભૂત અધિકારનો ભંગ ગણાશે.

કોર્ટ  ભારપૂર્વક જણાવ્યું હતું કે પોતે  સરકારને કાયદો ઘડવાનો નિર્દેશ આપી શકે નહીં ખાસ કરીને તે બંધારણની વિરુદ્ધ હોય.



Google NewsGoogle News