હુમલના સ્થળથી દોઢ જ કિમી દૂર હતા પણ ઘોડા ન મળતાં પહોંચી ન શક્યા
કોલ્હાપુરના ૨૮ લાકોના ગૂ્રપે ઈશ્વરનો પાડ માન્યો
એકસાથે ૨૮ લોકો માટે ઘોડા મળતાંવાર લાગી , વ્યવસ્થા થઈ ત્યાં ફાયરિંગના મેસેજ મળ્યા
મુંબઈ - પહલગાવમાં થયેલાં આતંકી હુમલાને કારણે આખો દેશ કંપી ગયો છે. આ હુમલામાં આશરે ૨૬ જેટલાં પર્યટકોના મોત થયા છે. તો કેટલાંક જખમી પણ થયાં છે. મહારાષ્ટ્રના છ પર્યટકો મૃત્યુ પામ્યાં છે. તે દરમ્યાન કોલ્હાપુરના પર્યટકોના એક ગુ્રપનો આકસ્મિક બચાવ થયો છે.
કોલ્હાપુરથી કાશ્મીરમાં ફરવા માટે ૨૮ જણનું એક ગુ્રપ ગયું છે. તેઓ મંગળવારે બપોરે પહલગાવ પહોંચવા માટે ઘોડા પર જવાના હતાં. તેઓ ઘટનાસ્થળથી માત્ર દોઢ કિલોમીટર દૂર હતાં. પરંતુ ૨૮ જણને એકસાથે લઈ જવા માટે ઘોડાનો બંદોબસ્ત કરવામાં વાર લાગી અને સમયસર ઘોડા મળ્યાં નહીં. પરિણામે નિર્ધારિત સમય કરતાં તેમને મોડું થયું અને જ્યારે આ પર્યટકો ઘોડા પર બેસવા જતાં હતાં ત્યારે જ ટ્રાવેલ્સના ડ્રાયવરે તેમને જાણ કરી કે, ત્યાં ફાયરિંગ ચાલુ છે, નહીં જાઓ. આ સાંભળતાં જ તમામ પર્યટકો ઘોડા પરથી પાછા નીચે ઊતરી ગયા હતાં અને ઘટનાનો ભોગ બનતાં બચી જવા પામ્યા હતાં.
ઘણીવાર કોઈ વસ્તુ સમયસર આપણને ન મળે તેની પાછળ પણ કોઈ શુભસંકેત હોઈ શકે, એવું લોકો કહેતાં હોય છે. પરંતુ તેનો સીધો પુરાવો આ ઘટના પરથી પ્રાપ્ત થયો છે કે, ઘોડાં જો સમયસર મળી ગયાં હોત તો આ ૨૮માંથી પણ કદાચ કેટલાંકનો ભોગ લેવાઈ ગયો હોત તેવી શક્યતા નકારી શકાય નહીં.