ગૌતમ નવલખાને જામીન પરનો સ્ટે સુપ્રીમ દ્વારા લંબાવાયો

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
ગૌતમ નવલખાને જામીન પરનો સ્ટે સુપ્રીમ દ્વારા લંબાવાયો 1 - image


નક્સલવાદી ચળવળ સાથે સાઠગાંઠ કેસમાં હુકમ 

જોકે, હાલ કેસના મેરિટ વિશે કોઈ અવલોકન નહીં : કેસને ભારતના મુખ્ય ન્યા. ચંદ્રચૂડની બેન્ચ સમક્ષ રજૂ કરાશે

મુંબઈ :  બોમ્બે હાઈ કોર્ટે ભીમા કોરેગાંવ રમખાણના ૨૦૧૮ના કેસમાં અરોપી કાર્યકર્તા ગૌતમ નવલખાને જામીન મંજૂર  કરતા આદેશ પર આપેલી સ્થગિતીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે લંબાવી છે. ન્યા. સુંદરેશ અને ન્યા. ભાટીની બેન્ચે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીને આ કેસ મુખ્ય ન્યા. ચંદ્રચૂડ  સમક્ષ રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. કેસના તથ્ય પર કંઈ પણ કહેવા માગતા ન હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.

ન્યા. ગડકરી અને ન્યા. દીગેની બેન્ચે ૧૯ ડિસેમ્બરે  નવલખાના જામીન મંજૂર કર્યા હતા.  નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને સુપ્રીમ કોર્ટમાં આદેશ પડકારવા ત્રણ સપ્તાહનો સ્ટે આપ્યો હતો.

નવલખાને શરૃઆતમાં જેલમાં રખાયા બાદ તેમના ઘરે નજરકેદમાં ખસેડવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જૈફ વયને લીધે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે નવેમ્બર ૨૦૨૨માં માન્ય કરી હતી. ત્યારથી નવી મુંબઈમાં તેઓ નજરકેદમાં હતા.

પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઈટ્સ (પીયુડીઆર)ના ભૂતપૂર્વ સચિવ અને માનવ અધિકાર કાર્યકર્તા નવલખાની ધરપકડ ઓગસ્ટ ૨૦૧૮માં થઈ હતી.  વિશેષ એનઆઈએ કોર્ટે ગયા વર્ષે પાંચ સપ્ટેમ્બરે જામીન અરજી ફગાવી હતી.ત્યાર બાદ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.

હાઈ કોર્ટે અરજી ફરી વિશેષ કોર્ટમાં ફેરસુનાવણી માટે મોકલાવી હતી. વિશેષ કોર્ટે ફરીવાર અરજી ફગાવી હતી. કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે નવલખા પ્રતિબંધીત આતંકવાદી સંગઠન સામ્યવાદી પક્ષના સભ્ય છે. 

નવલખાએ વિશેષ કોર્ટના આદેશને ફરી હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. એનઆઈએએ નવલખાની અરજીના વિરોધમાં જણાવ્યું હતું કે નવલખા ગ્રામીણ નક્સલી હિલચાલ માટે સુવિધાની વ્યવસ્થા માટે શહેરી ચળવળનો હિસ્સો રહેલા છે.


Google NewsGoogle News