સપ્ટેમ્બરમાં યવતમાલમાં પંદર ખેડૂતોએ આત્મહત્યા કરી
રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો યથાવત
કૃષિ સમસ્યા કે પારિવારીક પળોજણ? ખેડૂતોની આત્મહત્યાના ખરા કારણોની તપાસ થશે
નાગપુર: મહારાષ્ટ્રમાં વિચલિત કરતા બનાવમાં, યવતમાલ જિલ્લામાં આ મહિને ખેડૂતોની આત્મહત્યાના કિસ્સામાં ચોંકાવનારો ઉછાળો આવ્યો છે. બુધવાર સુધીમાં સપ્ટેમ્બર મહિનામાં આત્મહત્યા કરનારા ખેડૂતોની સંખ્યા પંદર પર પહોંચી ગઈ હતી એવી સત્તાવાર માહિતી મળી હતી. આ દુઃખદ મોત પાછળના કારણો અનિશ્ચિત રહ્યા છે પણ પ્રશાસન તેના સંજોગોની તપાસ કરી રહ્યું છે.
પૂર્વ મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આવેલું યવતમાલ છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની આત્મહત્યાની વરવી વાસ્તવિક્તાનો સામનો કરી રહ્યું છે. યવતમાલ જિલ્લા પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનામાં પંદર ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. ખેડૂતોએ આ અંતિમ પગલું કૃષિ સમસ્યાને કારણે ભર્યું કે પારિવારીક જેવી કોઈ અન્ય સમસ્યાને કારણે લીધું તે જાણવા પોલીસ અને મહેસૂલ વિભાગ તપાસ કરી રહ્યા છે.
ચિંતામાં વધારો કરતા મહારાષ્ટ્ર સરકારના વસંતરાવ નાઈક શેતકરી સ્વાવલંબી મિશનના કાર્યકરે જણાવ્યું કે છ ખેડૂતોએ ૧૭ અને ૧૯ સપ્ટેમ્બર વચ્ચે યવતમાલ જિલ્લામાં જીવન ટૂંકાવ્યું હતું. આ સ્થિતિ ખેડૂતોને આવા અંતિમ પગલા લેવા માટે મજબૂર કરતી સમસ્યાના સમાધાન માટે તાત્કાલિક ધ્યાન માગી લે છે એમ તેમણે જણાવ્યું હતું.