કર્મચારીઓ સહકર્મીના અંતિમ સંસ્કારમાં જતાં રહ્યાં અને મુંબઈની જીવાદોરી અટકી ગઈ, 100 વધુ લોકલ ટ્રેનો રદ

- 88 લોકલ ટ્રેન સેવાઓ સહિત લગભગ 147 ટ્રેનો રદ કરવામાં આવી

Updated: Feb 11th, 2024


Google NewsGoogle News
કર્મચારીઓ સહકર્મીના અંતિમ સંસ્કારમાં જતાં રહ્યાં અને મુંબઈની જીવાદોરી અટકી ગઈ, 100 વધુ લોકલ ટ્રેનો રદ 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 11 ફેબ્રુઆરી 2024, રવિવાર

સેન્ટ્રલ રેલવે મુંબઈ ડિવિઝનમાં શનિવારે મોટરમેન ફરજ પર ન હોવાને કારણે 100થી વધુ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી. સેન્ટ્રલ અને હાર્બર લાઈન પર ભાયખલા અને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનો વચ્ચે ઉપનગરીય ટ્રેન સર્વિસમાં વિલંબ થયો હતો. અનેક કર્મચારીઓ પોતાના સહકર્મીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ગયા હતા. રેલવેના એક અધિકારીએ આ જાણકારી આપી હતી. આ ઘટનાથી સવાલ ઉઠી રહ્યો છે કે શું આ આયોજનબદ્ધ વિરોધ પ્રદર્શન તો નહતું? કારણ કે અગાઉ પણ મોટરમેનો કામના વધુ પડતા દબાણનો મુદ્દો ઉઠાવી ચૂક્યા છે.

કર્મચારીઓ સહકર્મીના અંતિમ સંસ્કારમાં જતાં રહ્યાં

સાંજના સમયે રેલ સેવામાં વિલંબ થવાને કારણે મોટી સંખ્યામાં મુસાફરો સીએસએમટી અને અન્ય સ્ટેશનો પર ફસાઈ ગયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રેન સેવામાં વિલંબ થયો હતો કારણ કે ઘણા કર્મચારીઓ તેમના સહકર્મી મુરલીધર શર્માના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે કલ્યાણ ગયા હતા. શુક્રવારે ભાયખલા અને સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનો વચ્ચે ટ્રેક ક્રોસ કરતી વખતે શર્માનું નિધન થઈ ગયુ હતું. તેમણે જણાવ્યું કે, શર્માના અંતિમ સંસ્કાર બપોરે થવાના હતા પરંતુ તે સાંજે 5:00 વાગ્યે થઈ શક્યા. અધિકારીએ જણાવ્યું કે 88 લોકલ ટ્રેન સેવાઓ સહિત લગભગ 147 ટ્રેનો રદ કરવામાં આવી છે.

મૃતક મોટરમેનને લઈને ચાલી રહી હતી તપાસ

સેન્ટ્રલ રેલ્વે મજદૂર સંઘ (CRMS) કર્મચારી સંઘના જણાવ્યા પ્રમાણે મૃતક મોટરમેન શર્મા વિશે છેલ્લા દિવસોમાં તપાસ ચાલી રહી હતી કારણ કે તેમણે ફરજ દરમિયાન રેડ સિગ્નલ જંપ કર્યો હતો. CRMSના મહાસચિવ પ્રવીણ વાજપેયીએ વહીવટી કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્ટાફના મનોબળ પર સિગ્નલ પાસિંગ એટ ડેન્જર (SPAD) દુર્ઘટનાઓના ખતરનાક પ્રભાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભૂલ થાય તો સજા આપતા પહેલા કારણો પર વિચાર કરવો જોઈએ. આવી જોગવાઈઓ હોવા છતાં તેનું પાલન થતું નથી. નોકરીમાંથી કાઢી મૂકવાના ડરથી કર્મચારીઓ ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. SPAD તપાસ માનવતાવાદી દ્રષ્ટિકોણથી થવી જોઈએ કારણ કે આ એક ભૂલ છે, ગુનાહિત કૃત્ય નથી.


Google NewsGoogle News