દિલીપ જોશીએ વિલેપાર્લે પોલીસ સ્ટેશનમાં જઇ આદિવાસી સમાજની માફી માગી
તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ફેમ
સિરિયલના એક એપિસોડમાં આદિવાસી સમાજ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી
મુંબઇ : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા દિલીપજોશી ઉર્ફે જેઠાલાલે સિરિયલના એક એપિસોડમાં આદિવાસી સમાજની ભાવના દુભાવી હોવા પ્રકરણે અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદે વિલેપાર્લે પોલીસ સ્ટેશનમાં દિલીપ જોશી સામે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
આ બાબતનો પત્ર પોલીસ સ્ટેશનમાં મળ્યા બાદ ખુદ દિલીપ જોશી વિલેપાર્લે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને સમસ્ત આદિવાસી સમાજની લેખિત માફી માગી આ વિવાદ પર પડદો પાડી દીધો હતો. આ બાબતનો દિલીપ જોશીનો માફી માગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ સંદર્ભે વધુ વિગતાનુસાર 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' સિરિયલના એક એપિસોડમાં દિલીપ જોશીએ આદિવાસી સમાજની લાગણી દુભાવતી ટિપ્પણી કરી હોવાના આરોપ સાતે અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદે તેમની સામે ગુનો નોંધવામાં આવે તેવી લેખિત ફરિયાદ વિલેપાર્લે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જો કે વિલેપાર્લે પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારી નાર્વેકરે મધ્યસ્થી કરી આ વિવાદ શાંત પાડયો હતો.
પોલીસે દિલીપ જોશીને આદિવાસી સમાજની માફી માગી લેવાની વિનંતી કરી હતી પરિણામે દિલીપ જોશી સ્વયં વિલેપાર્લે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા અને લેખિત માફી આપવાની સાથે જ કેમેરા સામે પણ સમસ્ત આદિવાસી સમાજની માફી માગી લેતા આ વિવાદનો અંત આવ્યો હતો.