થાણેમાં નવરાત્રિની શોભાયાત્રામાં ફટાકડા બાબતે તકરારઃ 4 દાઝ્યા
ફટાકડા સામે વાંધો લેવાતાં પથ્થરમારામાં એક ઘાયલ
મુંબઈ : થાણેમાં નવરાત્રિની ઉજવણી માટે દુર્ગા માતાજીની મૂર્તિ લઈને નીકળેલી શોભાયાત્રા દરમિયાન ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. આ વખતે ફોડવામાં આવેલા ફટાકડામાં ચાર વ્યક્તિ દાઝી ગઈ હતી. બીજી તરફ પથ્થરમારામાં એકને ઈજા થઈ હતી, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું.
વાગલે એસ્ટેટમાં દુર્ગા માતાજીની મૂર્તિ સાથે યોજાયેલી શોભાયાત્રા દરમિયાન તકરાર થઈઃ ૧૨ લોકો સામે ગુનો દાખલ
ગઈકાલે રાતે ૯.૦૦ વાગ્યે આ ઘટના બની હતી. શ્રીનગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ે જણાવ્યું હતું કે 'થાણેના વાગળે એસ્ટેટ ખાતે હનુમાનનગર વિસ્તારમાં માતાજીની મૂર્તિ લઈને કેટલાંક લોકો જઈ રહ્યા હતા. ત્યારે ફટાકડા ફોડવાને લઈને બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો.
તે સમયે કોઈએ બેદરકારીપૂર્વક ફટાકડા ફોડયા હતા. ફટાકડાને લીધે ચાર જણને ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઝઘડા વખતે કોઈએ પથ્થરમારો કરતાં એક વ્યક્તિ ઘાયલ થઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. પીડિતોની ફરિયાદને પગલે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪૩, ૧૪૭, ૩૩૭, ૨૮૩ હેઠળ અજાણ્યા ૧૨ જણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ મામલામાં હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસે વધુમાં કહ્યું હતું.