દક્ષિણ મુંબઈના ભીંડીબજારમાં બે જૂથો વચ્ચે અથડામણઃ 50થી વધુ સામે કેસ
જોરથી ડીજે વગાડી, સૂત્રોચ્ચાર અને પથ્થરમારો કરાયો
મુંબઈ: દક્ષિણ મુંબઈના ભીંડીબજાર વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણને લીધે તંગદિલી ફેલાઈ હતી. આ મામલામાં ૫૦થી વધુ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.
આ ઘટના શુક્રવારે સાંજે મૌલાના આઝાદ રોડ પર ગોળ દેવળ મંદિર જંકશન પાસે એક સરઘસ દરમિયાન બની હતી.
કેટલાંક લોકો જનરેટર વેન સાથે ટ્રક જોડીને જોરથી ડીજે વગાડતા હતા. આ ઉપરાંત સૂત્રોચ્ચાર કરાયા હતા. તે સમયે એક વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો.
જેના લીધે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઈ હતી. આ બનાવ બાદ કોઈ અનિચ્છનિય ઘટના ન બને માટે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ મામલો જે.જે. માર્ગ પોલીસ સ્ટેશનમાં કલમ ૧૪૧, ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૧૪૯, ૧૬૦, ૪૨૭, ૩૭ (૧) (૩), ૧૩૫ તેમજ ધ્વનિ પ્રદુષણ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ સામે રમખાણો, તોફાન અને અન્ય આરોપ લગાડવામાં આવ્યા છે.