'ચેતન સિંહનો ઈરાદો માત્ર મુસ્લિમ પ્રવાસીને મારવાનો હતો'
આરપીએફ કોન્સ્બેટલ સામે નોંધાયેલા આરોપનામામાં ચોંકાવનારી વિગત
કોઈ માનસિક બીમારી નહોતી, વલસાડ ઉતરવા દીધો નહીં અટેલે ગુસ્સામાં ઉપરીને ઠાર કર્યા
મુંબઈ : જયપુર મુંબઈ સેન્ટ્રલ ટ્રેનમાં ઉપરી અને ત્રણ પ્રવાસીને ઠાર કરનારા આરપીએફના કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરીને કોઈ માનસિક બીમારીના પુરાવા મળ્યા નથી. વલસાડમાં તેને ઉતરવા નહીં દેવાયો હોવાથી તેણે ક્રોધમાં આવીને ઉપરી એએસઆઈ તુકારામ મીણાને ઠાર કર્યા હોવાનું તેમ જ તેનો ઈરાદો માત્ર મુસ્લિમ પ્રવાસીઓને મારવાનો હોવાનું આરોપનામામાં જીઆરપી(ગવર્નમેન્ટ રેલવે પોલીસ)એ જણાવ્યું હતું.
બોરીવલી મેજિસ્ટ્રેટ કોર્ટમાં શુક્રવારે જીઆરપીએ દાખલ કરેલા આરોપનામાની વિગતો અનુસાર ૧૫૦ સાક્ષીદારોની જુબાની નોંધવામાં આવી છે. જીઆરપી અધિકારીઓના જણાવ્યા અનુસાર ત્રણ સાક્ષીદારોના નિવેદનો બોરીવલી મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ નોંધવામાં આવ્યો છે.
સીસીટીવી રેકોર્ડિંગ અને પ્રવાસીઓએ ઉતારેલા વિડિયો પર પણ તપાસકર્તાએ આધાર રાખ્યો છે. વિડિયોમાં કોન્સ્ટેબલ મૃતદેહની બાજુમાં ઊભા રહીને પોતાના હિંસક કૃત્યને સાર્થક ગણાવતું ભાષણ આપતો દોખાય છે.
તને કોઈ માનસિક બીમારી નહોતી અને મુસ્લિમ પ્રવાસીને મારવાનો ઈરાદો ધરાવતો હતો. વરિષ્ઠ અધિકારી મીણાએ તેને વલસાડ ઊતરીને નાસવા દીધો નહીં એટલે ગુસ્સામાં આવીને મીણાને પણ ઠાર કર્યા હતા, એમ આરોપનામામાં જણાવાયું છે.